સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ખાતે નાતજાતના ભેદભાવ વગર તમામ ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવુતિઓની હારમાળા સર્જી સાવરકુંડલાની કબીર ટેકરીએ કબીર સંપ્રદાય સાથે સાવરકુંડલાની કબીર ટેકરીનું નામ પણ ગુજરાતભરમાં સેવા ક્ષેત્રે ગુંજતુ કરી સેવક વર્ગની વણઝાર ઉભી કરી છે. બ્રહ્મલીન મહંત પૂજ્ય શ્રી રામ પ્રતાપ સાહેબે વર્ષ ૧૯૭૦માં શિવરાત્રી મેળામાં જૂનાગઢ ખાતે આવતા શ્રદ્ધાળુઓની રહેવા જમવાની સગવડતા માટે શરુ કરેલી રાવટીની સેવાને હાલના મહત શ્રી નારાયણદાસ સાહેબે પણ વધુ સુવિધા સાથે ૫૪ માં વર્ષે સતત ચાલુ રાખી મેળામાં આવતા યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. છેલ્લા ૫૪ વર્ષથી ભવનાથ તળેટી માં ભવનાથ ગેટ પાસે વિશાળ જગ્યામાં રાવટી ઉભી કરવામાં આવે છે. અને શિવરાત્રીના પર્વમાં એક સપ્તાહ સુધી ભજન સાથે ચા – પાણી, ભોજન પ્રસાદ અને પથારી પાગરણની સગવડ યાત્રાળુઓને પુરી પાડવામાં આવે છે.
કબીર ટેકરીના મહંત શ્રી નારાયણદાસ સાહેબની ભાવના છે કે રાવટીએ આવનાર એક પણ યાત્રાળુ ચા, પાણી કે ભોજન પ્રસાદ વગર નં રહે અને તે માટે મહંત શ્રી પોતે જ રાવટી ખાતે હાજર રહી સ્વયંસેવકોને માર્ગદર્શન આપી રહ્યા છે રાવટીમાં કબીર ટેકરીના સંતો, સેવકો અને અનુયાઈઓ યાત્રાળુઓની સરભરામાં રોકાશે.
આ માટે કબીર ટેકરી દ્વારા આગોતરું આયોજન કરી તેલ, ઘઉં, ખાંડ, કઠોળ સહીતનું રાશન જૂનાગઢ ખાતે પહોંચાડી દેવામાં આવ્યું છે. આજે તારીખ ૧૫/૨/૨૦૨૩થી રાવટીમાં ભોજન ચા પાણીની નિશુલ્ક સેવાઓ શરુ થઈ ચૂકી છે. આ રાવટીમાં નાતજાતના ભેદભાવ વગર તમામ યાત્રાળુઓને સગવડતા આપવામાં આવશે. શિવરાત્રીના મેળામાં આવ્યા યાત્રાળુઓને કબીર ટેકરીની રાવટીમાં ભજન અને ભોજન પ્રસાદ માટે પધારવા મહંતશ્રી નારાયણદાસ સાહેબે જાહેર આમંત્રણ પણ પાઠવ્યું છે.


