અમરેલી
અમરેલીની મધ્યમા નગરપાલિકા હસ્તકનો બગીચો જે ગાંધીબાગ તરીકે ઓળખાય છે તેના નવીનિકરણ અને સંચાલન પ્રેમવતી ચેરીટેબલ ટ્રસ્ટને સોંપાયા બાદ સુવિધામા વધારો થતો જાય છે. ત્યારે આજે અહી પ્રમુખ સ્વામી ઓપન થિયેટરનુ લોકાર્પણ કરાયુ હતુ. પ્રેમવતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આધુનિક સાઉન્ડ તથા લાઇટીંગ સાથે આ થિયેટરનુ નિર્માણ કરાયુ છે. જેમા માનવ ઉત્કર્ષ અને બાળ સંસ્કારના પ્રેરણાદાયી વિડીયો તદન નિશુલ્ક નગરજનો પરિવાર સાથે બેસીને નિહાળી શકશે. ગઢડા મંદિરના કોઠારી સંત પુ.અધ્યાત્મસ્વરૂપદાસ સ્વામી, પાલિકા પ્રમુખ, સદસ્યો અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમા થિયેટરનુ લોકાર્પણ કરાયુ હતુ. આ થિયેટરમા વ્યસનો જીવનને બરબાદ કરે છે, પરિવારને કેવા પાયમાલ કરે છે તેની ચોટદાર રજુઆતો કરતો વિડીયો શો, બાળકોને માતાપિતાના ઉપકારોનુ ઋણ સ્મરણ કરાવતો વિડીયો શો દરરોજ સાંજે ૭ઃ૩૦ થી ૯ દરમિયાન વિનામુલ્યે લોકો નિહાળી શકશે. પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઇ શેખવાએ ટ્રસ્ટનો આભાર વ્યકત કર્યો હતો. આ તકે પાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી, રમાબેન મહેતા, પીન્ટુભાઇ કુરૂંદલે, ઇન્દુકુમાર ઝીઝુવાડીયા, કનુભાઇ, આર.એલ.કાચા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.


