નવીદિલ્હી
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા ૨૦ અને ૨૧ માર્ચે ભારતની સત્તાવાર મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ વાતચીત કરશે. ટોક્યો અને નવી દિલ્હીમાં યોજાનાર જી૭ અને જી ૨૦ની અધ્યક્ષતા અંગે પોતાની પ્રાથમિકતાઓ અંગે પણ ચર્ચા થશે. રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે બંને વડાપ્રધાનો વચ્ચેની આ વાતચીતને ઘણી મહત્વપૂર્ણ મનાય છે. આ વાતચીત દરમિયાન ચીનને ઘેરવા માટે એક વ્યૂહાત્મક ચર્ચા થવાની પણ અટકળો ચાલી રહી છે. ઉપરાંત બંને નેતાઓ પરસ્પર હિતના દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. મળતી માહિતી મુજબ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જાપાનના વડાપ્રધાનની ભારત મુલાકાત ઘણી મહત્વની છે. આ મુલાકાત પર દરેકની નજર રહેશે. જાપાનના વડાપ્રધાનની ભારત મુલાકાત ૧૯ માર્ચથી શરૂ થશે, જેમાં તેઓ ૩ દિવસ ભારતમાં રહેશે. એક સરકારી સૂત્રએ શુક્રવારે જણાવ્યું કે, આ વર્ષે જાપાનની અધ્યક્ષા હેઠળ ટોક્યોમાં જી ૭ યોજાશે, તો ભારતની અધ્યક્ષતા હેઠળ નવી દિલ્હીમાં જી ૨૦ની બેઠક યોજાશે. કિશિદા મે મહિનામાં જાપાનના પશ્ચિમી શહેર હિરોશિમામાં યોજાનારી જી-૭ વ્યક્તિગત સમિટની સફળતા માટે માર્ગ મોકળો કરવા માટે ભારત જેવા દેશો સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ઉત્સુક હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે હિરોશિમા એ જ શહેર છે, જે બીજા વિશ્વ યુદ્ધમાં અમેરિકન પરમાણુ બોમ્બ દ્વારા નાશ પામ્યું હતું.
