ધ્રાંગધ્રા :
કોરોનાએ સમગ્ર વિશ્વની આર્થિક કમર તોડી નાખી. કોરોના કાળ પછી મોદી સરકારની આપત્તિ ને અવસર માં ફેરવી નીતિ બાદ લોકલ ફોર વોકલ સૂત્ર થી દેશના એમ એસ એમ ઈ ઉદ્યોગ અને મધ્યમ વર્ગને આર્થિક પગભર બનાવવા માટે સરકારે કમર કસી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં બાજપેયી બેંકેબલ યોજના, જ્યોતિ ગ્રામઉદ્યોગ યોજના અને દત્તોપંત ઠહેગડી કારીગર સહાય યોજના જેવી અનેક પ્રકારની સ્વાવલંબન યોજનાઓ કાર્યરત છે જેના માટે રાષ્ટ્રીય બેંકો અને સહકારી બેંકો માં એક ટાર્ગેટ બાધિત કરેલો હોય છે અને સરકારનો સ્પષ્ટ આદેશ પણ હોય છે. આ યોજનાઓનો હેતુ ગરીબ મધ્યમ વર્ગનો વ્યક્તિ જાતે જ નાનાં સાહસ થકી આર્થિક પગભર બની શકે સાથે લઘુ ઉદ્યોગ જ મોટા ઉદ્યોગનું હ્ર્દય છે આથી લઘુ ઉદ્યોગ મજબૂત બનશે તો અર્થતંત્ર સાચા અર્થમાં વેગવાન બનશે માટે જ આ પ્રકારની યોજના દેશના અર્થ તંત્ર ને વેગ આપવા જરૂરી જ હોય જ છે પણ રાજ્યમાં જેમ વર્ષ 2015-16 માં ઘણા જિલ્લાઓમાં લાભાર્થીની સબસીડી બાબતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામે મોટો રોષ અને ફરિયાદો હતી તો હાલ લાભાર્થીઓ ને બેન્ક તરફથી જાકારો મળી રહ્યો છે. ધ્રાંગધ્રા શહેર માં જનસેવા સમિતિ નાં મોહિતભાઈ એ લાભાર્થીઓ ની નારાજગી અને બેન્કની મનમાની બાબતની જાણ જોગ રજુઆત નવનિયુક્ત મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ ને કરી છે.
ઉલ્લેખનીય છે કે સરકારી આદેશ મુજબ દરેક બેંકમાં પરિપત્ર હોય છે જેમાં અમુક ચોક્કસ સંખ્યા નો ટાર્ગેટ સોંપવામાં આવેલો જ હોય છે તેમ છતાંય બેન્ક યેનકેન પ્રકારે લાભાર્થીઓ ને ધકકા ખવડાવે છે અંતે થાકીને લાભાર્થીઓ હિમ્મત હારીને પ્રયત્ન જ મૂકી દે છે. જેઓ આત્મનિર્ભર બનવા માટે સતત બેન્કના ધક્કા ખાતા હોય છે તેઓને બેન્ક નાનાં ડિફોલ્ટરો નું લિસ્ટ બતાડીને તમે લોન નથી ભરતા કહીને લોન આપવામાં રીતસરનો મૌખિક નનૈયો ભણી દે છે.
એક બાજુ કરોડો રૂપિયાની લોન આસાનીથી મેળવતા અને પૈસા ન ભરતા ડિફોલ્ડરો ઘણા છે પણ તેઓના કિસ્સામાં બેન્ક મેનેજમેન્ટ ને કોઈના કોઈ પ્રકારે આર્થિક લાભ બંધ બારણે મળતો હોય છે એવા સામાજિક કાર્યકરોના આક્ષેપ છે સાથે તેઓની એમ પણ રજુઆત છે કે પૈસો આમ જનતાની પરસેવાની કમાણી નો છે, રાજ્ય સરકાર નો આદેશ હોય તેમ છતાંય બેન્ક પોતે પૈસાની માલિક હોય તેમ મનમાની કઈ રીતે કરે છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર કડક વલણ અપનાવી આવી બેંકો સામે પગલાં ભારે એવી લોકમાંગ સાથે જનસેવા સમિતિ એ હાલ મુખ્ય મંત્રી ને લેખિત રજુઆત કરેલ છે.
