નડિયાદ તાલુકામાં કુલ ૨૭૨૨ ખેડુતો અને વસો તાલુકામાં કુલ ૧૨૪૯ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થયા
***
તાલુકા પ્રાકૃતિક કૃષિ મંડળના અધ્યક્ષ સ્થાને નડિયાદ અને વસો તાલુકાની પ્રાકૃતિક ખેતીની કામગીરીની પ્રગતિ અંગે સમીક્ષા બેઠકનું આયોજન જુની જિલ્લા પંચાયત કચેરી કેમ્પસ, પટેલ હોલ નડિયાદ ખાતે કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રી દ્વારા ગામ દીઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે સંકલ્પ અંતર્ગત નડિયાદ અને વસો તાલુકામાં ચાલતી પ્રાકૃતિક ખેતીની કામગીરીની ગામ વાર સમીક્ષા કરવામાં આવી હતી. તા.૧૫/૦૪/૨૦૨૩ સુધી નડિયાદ તાલુકામાં કુલ ૨૭૨૨ ખેડુતો અને વસો તાલુકામાં કુલ ૧૨૪૯ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.
તાલુકા પ્રાકૃતિક કૃષિ મંડળના સભ્ય શ્રી મદદનીશ ખેતી નિયામક શૈલેષભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી પેદાશની ઉપજના વેચાણ અર્થે નડિયાદ તાલુકાના વડતાલ મંદિર પાસે, નડીયાદ સંતરામ મંદિર પરીસર, કમળા ચોકડી, મહોળેલ, આડીનાર ચોકડી તથા વસો તાલુકાના વસો ચોકડી અને રામોલ ચોકડી એમ ૧૦ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવી વેચાણ વ્યવસ્થાના સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશી ગાય આધારિત ઓછા ખર્ચ વાળી પ્રાકૃતિક ખેતીમાં જોડાવા વિસ્તરણ અધિકારી, ગ્રામસેવક તથા આત્મા સ્ટાફનો સમ્પર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
આ બેઠકમાં તાલુકા પ્રાકૃતિક કૃષિ મંડળના અધ્યક્ષ, સભ્ય સચિવ, પ્રાકૃતિક કૃષિ મંડળના તમામ સભ્યો તથા નડિયાદ અને વસો તાલુકાના તમામ ગ્રામસેવકો હાજર રહ્યા હતા.


