નવીદિલ્હી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી એશિયા કપમાં ભારતની મેચો તટસ્થ સ્થળે રમાડવા માટે તૈયારી દર્શાવી હોવાનું પીસીબીના પ્રમુખ નજમ શેઠીએ શુક્રવારે જણાવ્યું હતું. પીસીબી પ્રમુખે વધુમાં જણાવ્યું કે, અમે એશિયન ક્રિકેટ કાઉન્સિલને પણ આ દરખાસ્ત મોકલી ચૂક્યા છીએ. ચાલુ વર્ષે એશિયા કપની યજમાની પાકિસ્તાનને સોંપવામાં આવી છે ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે અગાઉ સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસ પર નહીં જાય. બોર્ડ સેક્રેટરી જય શાહે એશિયા કપ તટસ્થ સ્થળે રમાડવા માંગ કરી હતી. નજમ શેઠીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, અમે એશિયા કપના આયોજનને લઈન હાઈબ્રિડ મોડેલ પર વિચારણા કરી છે. જે અંતર્ગત પાકિસ્તાન તેની મેચો ઘરઆંગણે રમશે જ્યારે ભારતની મેચો તટસ્થ સ્થળે રમાડવામાં આવશે. આ દરખાસ્ત એસીસીને પણ મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પૂર્વ ચેરમેન રમિઝ રાજાએ ભારતમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપનો પાક. બહિષ્કાર કરી શકે છે તેવું નિવેદન કર્યું હતું. ત્યારબાદ રમિઝ રાજાને પીસીબી પ્રમુખ પદેથી ખસેડીને નજમ શેઠીને નવા ચેરમેન નિયુક્ત કરાયા હતા. એશિયાના છ દેશો એશિયા કપમાં ભાગે લેતા હોય છે અને ચાલુ વર્ષે ૨થી ૧૭ સપ્ટેમ્બર વચ્ચે એશિયા કપ યોજાશે. જાે કે ચાલુ વર્ષે એશિયા કપના સ્થળ અંગે અનિશ્ચિતતા હોવાથી વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરાયો નથી. ભારત અને પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને એસીસી ક્વોલિફાયર્સમાંથી એક ટીમનો ટુર્નામેન્ટમાં સમાવેશ થશે. હાલમાં નેપાળમાં ક્વોલિફાયર્સ મેચ રમાઈ રહી છે. શેઠીએ આશા વ્યક્ત કરી ગે આગામી મહિને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝશન કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા ગોવાની મુલાકાત લેશે ત્યારે બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થઈ શકે છે. અમને એશિયા કપ તટસ્થ સ્થળે રમવા અને આગામી વર્લ્ડ કપ માટે ભારત જવા માટે પણ સલાહ આપવામાં આવી છે. જાે કે કોણે સલાહ આપી છે તે અંગે શેઠીએ સ્પષ્ટતા કરી નહતી. બીજીતરફ તેમણે બડાઈ મારતા એમ પણ જણાવ્યું કે, અમારી સરકારે ભારત સામે રમવા કોઈ નિયંત્રણો નથી લાગુ કર્યા પરંતુ પ્રજાનો મૂડ સુચવે છે કે અમને ગરજ નથી અને અમે અમારા પગ પર ઉભા થઈ શકીએ છીએ. અમે ભારત સાથે સન્માન સાથે ક્રિકેટ રમવાની આશા રાખીએ છીએ અને એસીસીમાં પણ આ મુદ્દે વાટાઘાટ થઈ રહી છે.


