સુરત
સુરત મહાનગર પાલિકા ખાતે મળેલી સાંસદ, ધારાસભ્યોની સંકલન બેઠકમાં દબાણ અને આરોગ્યનો મુદ્દો ગાજ્યો હતો. છ મહિનાથી વરાછા ચીકુવાડી બ્રિજનું કામ બંધ હોવાથી ધારાસભ્ય કુમાર કાનાણીએ ઉગ્ર રજૂઆત કરી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા કહ્યું હતું.કુમાર કાનાણીએ કહ્યું, નાના વરાછાથી મોટા વરાછાને જાેડતા ચીકુવાડી ખાડી બ્રિજનું કામ છ મહિનાથી બંધ છે. છેલ્લા કેટલાક સમટથી સંકલન બેઠકમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવતી હોવા છતાં બ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી. જેને પગલે આજની બેઠકમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ઉગ્ર રજૂઆત કરી હતી અને બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે તેનો લેખિતમાં જવાબ આપવા જણાવ્યું હતું.આ ઉપરાંત વરાછા મેઇનરોડ પરના ફ્લાય ઓવર બ્રિજ નીચે ઘર વિહોણા લોકો આશરો લેતા હોય છે. બ્રિજ નીચે વ્યાપક ગંદકી થતી હોવાથી વરાછા બ્રિજને સુશોભીત કરી ગેરકાયદે થતો વસવાટ દૂર કરવામાં આવે તેવી રજુઆત પણ કુમાર કાનાણી દ્વારા કરવામાં આવી હતી. આ સાથે હોટલ અને ખાણીપીણીની લારીઓ પર ફૂડ સેફટીના નિયમોનું પાલન થતું ન હોવાથી લોકોનું આરોગ્ય જાેખમમાં મુકાયું હોવાની ફરિયાદ પણ કાનાણી દ્વારા કરવામાં આવી હતી.આ સ્થળે ભેળસેળ યુક્ત પદાર્થોનું વેચાણ કરતી સંસ્થાઓ સામે સખત કાર્યવાહી કરવા પણ તેમણે જણાવ્યું હતું. વરાછા વિસ્તારમાં આવેલા ધરમનગર, નર્મદ નગર, જમના નગર ખાતેના શાંતિકુંજ વિસ્તાર દારૂનો અડ્ડો બની ગયો છે, અહીં દારૂની બોટલો મળી આવે છે. રાત્રે ગાર્ડનમાં દારૂના બંધાણી અડિંગો જમાવે છે. પરિણામે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આવા તત્વો સામે કાર્યવાહી કરવા કુમાર કાનાણીએ ટકોર કરી હતી.સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં થતાં ગેરકાયદે બાંધકામો પર રોક લગાવવાની માંગણી ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા કરવામાં આવી હતી. જ્યાર લિંબાયત વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ રસ્તા પરના વિજ પોલ દૂર કરવા અને બીઆરટીએસ બસમાં મહિલાઓ માટે અલાયદી વ્યવસ્થા કરવાની રજૂઆત ધારાસભ્ય સંગીતા પાટીલે કરી હતી.


