સંખેડા તાલુકામાંબપોરે 2 વાગ્યા બાદ અચાનક કાળા ડિબાંગ વાદળોએ સંખેડા ના આકાશમાં ઘેરાબંધી કરી દીધી હતી. સંખેડામાં બુધવારે બપોરે બે વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીમાં 136 મીમી એટલે કે સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી. છોટાઉદેપુર જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ બપોરે બે વાગ્યા પછી જ હવામાન બદલાયું હતું અને વરસાદ પણ નોંધપાત્ર થયો હતો. જો કે સંખેડા તાલુકામાં બારે મેઘ ખાંગા ની સ્થિતિ સર્જાતા સંખેડાના સર્વોદય કુમાર છાત્રાલયમાં ઘૂંટણ પાણી ભરાઈ ગયા હતા. છાત્રાલયના વિદ્યાર્થીઓ ઓચિંતા આવેલા પાણી પ્રત્યેક રૂમમાં ઘુસી જતા મુશ્કેલીમાં મુકાયા હતા.
સંખેડામાં પડેલા વરસાદ ના ડિઝાસ્ટર મેનેજમેન્ટના માહિતી આપતા જણાવ્યું હતું કે, બપોરે બે થી ચાર બે કલાક દરમિયાન 49 મીમી, જ્યારે સાંજે ચાર થી છ વચ્ચે 38 મીમી, સાંજે છ થી રાતના આઠ સુધીમાં 49 મીમી.મળી માત્ર 6 કલાકમાં 136 મીમી વરસાદ ખાબકી ગયો હતો. સંખેડા સહિત સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદ ને લીધે સંખેડા ગામમાં લોકોની અવરજવર ઘટી ગઈ હતી. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
સૌથી દુઃખદાયક પરિસ્થિતિ સંખેડા માં આવેલ આદિવાસીઓની સંસ્થા સર્વોદય કુમાર છાત્રાલય કે જ્યાં નાના ભૂલકાંઓ ભણવા માટે રહેતા હોય છે તે છાત્રાલય સંકુલમાં જળબંબાકાર સર્જાયો હતો. છાત્રાલયના વિદ્યાર્થીઓ જ્યાં પલંગ પર સૂતા હોય છે તે રૂમોમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા હતા. વિદ્યાર્થીઓ સલામત સ્થળે આશ્રય લેવા માટે પરેશાનીમાં પાણીમાં કોઈક આવે અને ત્યાંથી લઈ જાય તેની રાહ જોઈને બેસી રહ્યા હતા. છાત્રાલયના કમ્પાઉન્ડ રસોડા વિદ્યાર્થીઓની રુમો સહિત તમામ જગ્યાઓ ઉપર ભારે વરસાદના પાણી ફરી વળ્યાં હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


