Gujarat

ગાંધીનગરમાં નવા સચિવાલયમાં ૨ હજારની લાંચ લેતો નાયબ ઓડિટર ઝડપાયો

ગાંધીનગર
ગાંધીનગર નવા સચિવાલય સરદાર સરોવર નર્મદા નિગમનાં કર્મચારી ચાર મહિના અગાઉ વય નિવૃત થયા હતા. આથી નિવૃતિ પછીના મળતાં લાભો તેમજ પગાર બાંધણી લગતની કામગીરી અર્થે તેઓ કચેરીએ જતાં આવતાં હતાં. ત્યારે પગાર બાંધણીનાં કામ અર્થે નવા સચિવાલય બ્લોક નંબર – ૧૨ ત્રીજાે માળ રૂમ નંબર ૨૦૭માં બેસતા નાયબ ઓડિટર પ્રકાશ પોપટલાલ દરજી પાસે તેઓ ગયા હતા. નાયબ ઓડિટર પ્રકાશ દરજીએ પોતાની કચેરીના જ નિવૃત કર્મચારી પાસે પગાર બાંધણીનું સ્ટીકર આપવાની અવેજીમાં રૂ. ૨ હજારની લાંચ માંગી હતી. જે લાંચની રકમ પૂર્વ કર્મચારી આપવા માંગતા ન હતા. જેથી તેમણે એસીબી સમક્ષ લાંચીયા નાયબ ઓડિટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદના પગલે અમદાવાદ એકમ એસીબીના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાનાં સુપરવિઝન હેઠળ પીઆઈ સી.યુ.પરેવા સહિતના સ્ટાફે જરૂરી પંચને સાથે રાખી સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી ખાતે જ ટ્રેપ ગોઠવી હતી. એ સમયે નિવૃત કર્મચારી સાથે હેતુલક્ષી વાતચીતના અંતે નાયબ ઓડિટર પ્રકાશ દરજીએ લાંચની રકમ ટેબલનાં ખાનામાં મુકાવી હતી અને એસીબીનાં છટકામાં આબાદ રીતે ફસાઈ ગયો હતો. બાદમાં એસીબીએ પ્રકાશ દરજીને ડીટેઇન કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.ગાંધીનગરનાં નવા સચિવાલય સરદાર સરોવર નર્મદા નિગમનો ડેપ્યુટી ઓડિટર પોતાના જ પૂર્વ કર્મચારી પાસેથી પગાર બાંધણીનું કામ પતાવટ પેટે રૂ. ૨ હજારની લાંચ લેતા એસીબીની જાળમાં ફસાયો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં સચિવાલય કર્મચારીઓમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. દિવાળીના તહેવારો ટાણે એનકેન પ્રકારે ભેટ સોગાદ લેવાની પ્રથા સરકારી કચેરીઓમાં ઘર કરી ગઈ છે. જેનાં પગલે એસીબી દ્વારા પણ આવી કચેરીઓ પર વિશેષ ધ્યાન કેંદ્રિત કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં નોંધણી સર નિરીક્ષકની કચેરી લગ્ન શાખાનો કલાર્ક ૨૫૦૦ રૂપિયાની લાંચ લેતાં ઝડપાયા બાદ વધુ એક સરકારી કર્મચારી એસીબીની ટ્રેપમાં આબાદ રીતે ફસાઈ ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *