જૂનાગઢ જિલ્લાના ખમીરવંતા યુવાનો અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર તરીકે સંરક્ષણક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુસર સરકારશ્રી દ્વારા સંરક્ષણ ભરતી પૂર્વે નિવાસી તાલીમ વર્ગ યોજના અમલીકૃત છે.
સપ્ટેમ્બર માસમાં ૨૦૨૩ માં ભુજ ખાતે અગ્નિપથ યોજના અંતર્ગત લેખિત કસોટી ઉત્તીર્ણ થયેલ યુવાનો માટે શારીરિક ક્ષમતા કસોટી યોજાનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લાના યુવાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે અને પસંદગીના તમામ તબક્કાઓ ઉત્તીર્ણ કરી રાષ્ટ્ર સેવામાં જોડાય શકે તેવા હેતુસર નિવાસી તાલીમ વર્ગનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા પોલીસ તંત્ર જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જયશ્રી રોડ, જૂનાગઢ ખાતે કરવામાં આવનાર છે.
અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર માટેની લેખિત કસોટી ઉત્તીર્ણ કરેલ હોય તેવા એડમીટ કાર્ડ ધરાવતા ફક્ત પુરૂષ ઉમેદવારો માટે તાલીમ વર્ગમાં જોડાવા હેતુ આયોજિત ખાસ પ્રિ-સ્ક્રુટીની માટે તારીખ: ૩૧/૦૮/૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.
તાલીમવર્ગમાં જોડાયેલ યુવાનોને સઘન અને અસરકારક શારીરિક અને માનસિક કસોટીની તૈયારી તેમજ રહેવા અને જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા અને નિયત સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે. પસંદગી માટે ઉપસ્થિત થનાર યુવાનોએ થલસેના ભરતી રેલી માટે ઓનલાઈન અરજી કરેલ અરજીની નકલ, લેખિત પરીક્ષા ઉત્તીર્ણ કરી મેળવેલ એડમીટ કાર્ડની નકલ, આધારકાર્ડની નકલ,પાનકાર્ડની નકલ,પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ નંગ-૨, બેંક પાસબુકની નકલ તેમજ એન.સી.સી.નું પ્રમાણપત્ર ધરાવતા હોય તો તેની નકલ સાથે લાવવી ફરજીયાત છે. પસંદગી પ્રકિયામાં નિયત માપદંડોની નિયમોનુસાર ચકાસણી કરવામાં આવશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ટે.નં. ૦૨૮૫-૨૬૨૦૧૩૯ સંપર્ક કરવા અધિકારી (સા.) દ્રારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
