એનીમિયા અને આંખની ક્ષતિનો વિનામૂલ્યે ઈલાજ કરાતાં
પાલક માતા-પિતાના પરિવારમાં ખુશીનો માહોલ
માનવીના શરીરમાં દરેક અંગનું મહત્વ હોય છે. જો કોઈપણ અંગ ખામીયુક્ત હોય તો જીવનમાં નાની-મોટી તકલીફો પડતી હોય છે. સામાન્ય જીવન ન જીવી શકતાં વિકાસ રૂંધાય છે. તેથી, જીવન પ્રત્યે અણગમો પણ થતો હોય છે. પરંતુ જ્યારે તેનો સમયસ૨ ઈલાજ અને સારવાર થાય તો જીવન આનંદથી જીવી શકાય છે. આવું જ કંઈક બન્યું છે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના હલેન્ડા ગામના મજુરી કરતા એક પરિવારમાં.

ગત તા. ૧૬ જૂન, ૨૦૨૪ના રોજ એક જરૂરિયાતમંદ પરિવારમાં મયુરીનો અધુરા મહીને જન્મ થયો. જેને લીધે તે એનીમિક હતી અને તેને આંખના પડદાની બીમારી હતી. આથી બાળકીને તેના માતા-પિતાએ તરછોડી દીધી. જેને રમેશભાઇ મિયાત્રાએ દત્તક લીધી. બાળકીને માતાનું ધાવણ પણ ન મળતા, તેનું વજન ખૂબ જ ટૂંકા સમયમાં વધુ પ્રમાણમાં ઘટવા લાગ્યું.
આ કપરી પરિસ્થિતિમાં આર.બી.એસ.કે. (રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ) ટીમ અને આરોગ્ય સ્ટાફ દ્વારા કાંગારું મધર કેર અને ફોર્મ્યુલા મિલ્કની સારવાર શરૂ કરાઇ. પરંતુ તેનાથી વજનમાં જોઇએ તેવો વધારો ન થયો. ઉપરાંત, બાળકીનો વજન ઘટવા લાગ્યું. ત્યાર બાદ તા. ૨૬ જુલાઈ, ૨૦૨૪ના રોજ આર.બી.એસ.કે. ટીમે નિદાન કરતા બાળકીના એનીમિયાની તેના પાલક માતા-પિતાને જાણ કરતાં તેઓ સારવારના ખર્ચની ચિંતા કરવા લાગ્યા.

મયુરીના પરિવારમાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા. ત્યારે આર.બી.એસ.કે. ટીમે સમજાવ્યું કે શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ પ્રકારની ખામીવાળા બાળકોની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. જેથી, તમે કોઈપણ જાતની ચિંતા કરશો નહીં. આ સાંભળીને પરિજનોને હાશકારો થયો. તેમને ન્યુટ્રીશન રીહેબીલીટેશન કેન્દ્ર (એન.આર.સી.) પી.ડી.યુ. (પંડિત દીનદયાળ ઉપાધ્યાય) હોસ્પિટલ, રાજકોટ ખાતે રીફર કરવામાં આવી.
આ બાળકીની તકલીફોની સારવાર એન.આર.સી. અને એસ.એન.સી.યુ.ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. હાલ આ બાળકી સંપૂર્ણ તંદુરસ્ત છે. તેના પાલક માતા-પિતા અને પરિવારજનો ખુશ છે. આથી, મયુરીના પાલક માતા-પિતાએ ભાવવિભોર થઈને આરોગ્ય તંત્ર, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ અને તેની સાથે જોડાયેલા તબીબોના સદાય ઋણી રહેશે, તેવો ભાવ વ્યક્ત કર્યો હતો, તેમ રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.

