Gujarat

MG રોડ પર સુંદરકાંડના આયોજનને લઇ સાંજે 5:30થી રાત્રિના 10 સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી, જાણો વૈકલ્પિક વ્યવસ્થા

વડોદરા શહેરના એમ.જી. રોડ પર આજે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને આજે સાંજે 5:30 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી માંડવી ચાર દરવાજા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. જેના માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થા પણ જાહેર કરવામાં આવી છે.

સુંદરકાંડમાં 15 હજાર જેટલા લોકો આવશે વડોદરા શહેરના મધ્યમાં આવેલા માંડવી ચાર દરવાજા વચ્ચે એમ.જી. રોડ ખાતે આજે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે 1000થી 1500 લોકો હાજર રહેશે. જેથી માંડવી દરવાજા વચ્ચે ટ્રાફિકનું ભારણ વધુ પ્રમાણમાં રહેશે. આ ઉપરાંત માંડવી સ્થિત વચલી કમાનમાં આવેલ મેલડીમાતા મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો દર્શન કરવા આવતાં હોવાથી માંડવી દરવાજા વચ્ચે ટ્રાફિકનું ભારણ વધે છે. તેમજ આ માંડવી દરવાજા વિસ્તારમાં નાના વાહનો, ઓટો રીક્ષાઓ, ફોર વ્હીલર અને સિટી બસોને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે.

પોલીસ કમિશનર દ્વારા નો-એન્ટ્રીનું જાહેરનામુ જે સમસ્યાના નિવારણ માટે તથા જાહેર જનતાને ભય અને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારૂ ચાલે તે માટે માંડવી દરવાજા વિસ્તારમાં આજે બુધવારના રોજ સાંજે 5.30થી રાતે 10 વાગ્યા સુધી તમામ પ્રકારના ટુ-વ્હીલર, ફોર વ્હીલર, ઓટોરિક્ષા માટે અને તમામ પ્રકારના ભારદારી વાહનો માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા નો-એન્ટ્રીનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામાની વિગત માંડવી દરવાજા વિસ્તાર એટલે કે, (1) લહેરીપુરા દરવાજાથી માંડવી (2) ગેંડીગેટ દરવાજાથી માંડવી (3) પાણીગેટ દરવાજાથી માંડવી અને (4) ચાંપાનેર દરવાજાથી માંડવી સુધીના વિસ્તારમાં આજે બુધવારના રોજ સાંજે 5.30થી રાતે 10 વાગ્યા સુધી તમામ પ્રકારના ટુ-વ્હીલર વાહનો, ફોર વ્હીલ વાહનો, ઓટો રિક્ષા માટે તેમજ તમામ પ્રકારના ભારદારી વાહનો માટે નો-એન્ટ્રી જાહેર કરવામાં આવી છે.

વૈકલ્પિક વ્યવસ્થા લહેરીપુરા દરવાજાથી લહેરીપુરા ન્યુ રોડ, સંત કબીર રોડ, ગેંડીગેટ દરવાજા, યાસીનખાન પઠાણ માર્ગ, જુના ડીસીબી પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા, હરણીખાના રોડ, જુના પાણીગેટ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા, ગૌરવ સોસાયટી, અજબડીમીલ રોડ, સરસીયા તળાવ, અડાણીયાપુલ ચાર રસ્તા, કાલુપુરા રોડ, ભકિત સર્કલ, ગાંધી નગરગૃહ, પદમાવતી ત્રિકોણ, લહેરીપુરા દરવાજા બહારના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

અપવાદ આ જાહેરનામામાંથી હોસ્પિટલમાં જતાં દર્દીઓ, સિનિયર સિટીઝનો, શારિરીક તકલીફવાળા વ્યકિતઓને લઇ જતાં વાહનો માટે માંડવી તરફ જવા માટે મુકિત આપવામાં આવે છે.