રાજકોટ શહેરના નાના મવા મેઈન રોડ પર મેઘમાયા નગરમાં રહેતા એક ભૂઈમા દ્વારા દોરાધાગા કરી લોકોના દુઃખ દર્દ દૂર કરવાનો દાવો કરતા હોવાની માહિતી મળ્યા બાદ વિજ્ઞાનજાથાએ દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. વિજ્ઞાનજાથાની કાર્યવાહી બાદ ભૂઈમાએ આજથી જોવાનું બંધ કરવાની ખાતરી આપી હતી. જોવા માટે ભૂઈમાં લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાનો પણ વિજ્ઞાનજાથાએ દાવો કર્યો હતો.
દોરા કરી દુઃખ દર્દ મટાડવાનો દાવો કરતા રાજકોટ જનવિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતુ કે, શહેરના નાનામાવા મેઈન રોડ ઉપર મેઘમાયા નગરમાં રહેતા એક ભૂઈમા પોતાના ઘરમાં મઢ બનાવી મઢ બનાવી દોરા ધાગાથી દુઃખ – દર્દ મટાડવાનું કામ કરતા હતા. અમારી પાસે તમામ પ્રકારના પુરાવાઓ હતા કે લોકો સાથે આર્થિક, શારીરિક અને માનસિક છેતરપિંડી કરતા હતા. જેને કબુલાત આપી દીધી છે કે આજથી હું દોરા ધાગા બંધ કરું છું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભૂઈ માં કહે છે કે હુ 7 વર્ષથી દોરા ધાગા જોવાનુ કામ કરું છું જોકે આસપાસમાં રહેતા પડોશીઓનું એવું કહેવું છે કે તે બેનના જ્યારથી લગ્ન થયા ત્યારથી તેઓ દોરા ધાગે જોવાનું કામ કરે છે એટલે કે લગભગ છેલ્લા 20 થી 25 વર્ષથી આ કામ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમે જ્યારે અહીં આવ્યા ત્યારે આ બહેન દોરા ધાગા કરતા હતા અને જે પૈસા લીધા હતા તે જે તે પીડિત વ્યક્તિને પરત આપી દીધા છે.
અમારા જાણવા મુજબ આ ભુઈ માં રૂ. 5000 ની રૂ. 1 લાખ સુધીની ફી વસૂલતા હતા. આ બાબતે તેમના પતિ દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું છે કે તે દાણા નાખી જોવાનુ કામ કરતા હતા. જેથી અમે તુરંત અહીં રેડ પાડી છે અને આ ભૂઇમાને રંગેહાથ ઝડપી લીધા છે. જેઓ લોકો સાથે અંધ શ્રદ્ધાના નામે નાણાંની વસુલાત કરતા હતા.

