National

મહા કુંભ ૨૦૨૫ઃ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓને સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત રાશન પ્રદાન કરવા માટે વિશેષ યોજના

નાફેડથી અત્યાર સુધીમાં ૧૦૦૦ મેટ્રિક ટનથી વધુ રાશનનું વિતરણ કરવામાં આવ્યું છે. ૨૦ મોબાઇલ વાન તૈનાત, વોટ્‌સએપ અને કોલ દ્વારા ઉપલબ્ધ રેશન

કેન્દ્ર સરકારની એક વિશેષ યોજના પ્રયાગરાજ ખાતે મહાકુંભ ૨૦૨૫ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત રાશન પ્રદાન કરી રહી છે. નાફેડ (નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) ઘઉંના લોટ, કઠોળ, ચોખા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું સબસિડીના દરે વિતરણ કરે છે. ભક્તો વોટ્‌સએપ અથવા કોલ દ્વારા રાશનનો ઓર્ડર પણ આપી શકે છે. ૧૦૦૦ મેટ્રિક ટનથી વધુ રાશનનું વિતરણ થઈ ચૂક્યું છે અને ૨૦ મોબાઈલ વાનના માધ્યમથી સમગ્ર મહાકુંભ શહેર અને પ્રયાગરાજમાં તેનું વિતરણ ચાલી રહ્યું છે.
આશ્રમો અને ભક્તોને પરવડે તેવા રાશન લાવતું મોબાઇલ વાન

મહાકુંભમાં સંતો, કલ્પવાસીઓ અને ભક્તોને અન્નની કોઈ તંગી ન પડે તે માટે મોબાઈલ વાન દ્વારા રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાફેડના સ્ટેટ હેડ રોહિત જૈને જણાવ્યું હતું કે, આ ખાસ યોજના સહકાર મંત્રાલય દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેથી કોઈ પણ ભક્તને ભોજન સંબંધિત કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. નાફેડના એમડી દીપક અગ્રવાલ વ્યક્તિગત રીતે આ સમગ્ર કામગીરી પર દેખરેખ રાખી રહ્યા છે જેથી દરેક વ્યક્તિને સમયસર તેમનો અન્ન પુરવઠો મળી રહે.

મહાકુંભમાં હાજર શ્રદ્ધાળુઓ ૭૨૭૫૭ ૮૧૮૧૦ નંબર પર કોલ અથવા વોટ્‌સએપ દ્વારા રાશનના ઓર્ડર આપી શકે છે. સબસિડીવાળા રાશનમાં ૧૦ કિલોના પેકેટમાં ઘઉંનો લોટ અને ચોખાનો સમાવેશ થાય છે, જ્યારે મગ, મસૂર અને ચણાની દાળનું ૧ કિલોના પેકેટમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. મોબાઈલ વાન દ્વારા ઓર્ડર મળતાની સાથે જ રાશનને સંબંધિત આશ્રમો અને તપસ્વીઓને તરત જ પહોંચાડવામાં આવે છે.

અત્યાર સુધીમાં ૭૦૦ મેટ્રિક ટન ઘઉંનો લોટ, ૩૫૦ મેટ્રિક ટન કઠોળ (મગ, મસૂર અને ચણાની દાળ) અને ૧૦ મેટ્રિક ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે. નાફેડના ઉત્પાદનો અને ‘ભારત બ્રાન્ડ’ અનાજ ઝડપથી ભક્તોમાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

આ યોજના દ્વારા સરકાર મહાકુંભમાં ભાગ લેનાર લાખો શ્રદ્ધાળુઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત રાશન તો આપી જ રહી છે સાથે સાથે આ પ્રક્રિયાને સુવિધાજનક અને સુલભ પણ બનાવી રહી છે. મોબાઇલ વાન અને ઓન કોલ સુવિધાઓએ આ સેવાને વધુ અસરકારક બનાવી છે, જેથી મહાકુંભ ૨૦૨૫ દરેક ભક્ત માટે સરળ અને યાદગાર અનુભવ બની રહે.