ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભને લઈને સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ (ફેક મેસેજ) વાયરલ કરવાના સંબંધમાં પોલીસે પગલાં ભર્યા છે જેમાં, સાત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર FIR નોંધી છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, આ ખાતાઓએ ગાઝીપુરમાં નદી કિનારે મળી આવેલા મૃતદેહોના જૂના વીડિયો પોસ્ટ કર્યા હતા અને તેને મહાકુંભમાં થયેલી નાસભાગ સાથે જાેડીને પોસ્ટ કર્યા હતા.
સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન, પોલીસને કેટલીક એવી પોસ્ટ મળી હતી જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રયાગરાજમાં મહાકુંભ ઉજવવામાં આવી રહ્યો છે, પરંતુ મૃતદેહો ગંગામાં તરી રહ્યા છે. આ પોસ્ટો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો વર્ષ ૨૦૨૧માં ગાઝીપુરમાં નદી કિનારે મળેલા મૃતદેહોના હતા. તેને મહાકુંભ સાથે જાેડીને ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી હતી. પ્રયાગરાજ કુંભમેળા પોલીસે આ દાવાને ખોટો ગણાવ્યો અને તેને નકારી કાઢ્યો હતો.
અફવા ફેલાવનારા અને સરકાર અને પોલીસની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરનારા સાત સોશિયલ મીડિયા એકાઉન્ટની ઓળખ કરવામાં આવી છે. આ તમામ સામે કુંભમેળા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. તેમજ આ બાબતે પોલીસે વધુમાં કહ્યું હતું, કે આવી ભ્રામક પોસ્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ સમાચારને તપાસ્યા વિના સોશિયલ મીડિયા પર શેર ન કરે.

