સુરત,
સુરતમાં જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ પાસે ૧૧ ગાયોને ખોચોખીચ ભરી જતા ટેમ્પોનો ગૌરક્ષકોએ પીછો કરતા ટેમ્પો અકસ્માત બાદ પલટી ખાય જતા એક ગાયને ફ્રેક્ચર અને અન્ય ૧૦ જેટલી ગાયને નાની મોટી ઇજા થઇ હતી. ગૌરક્ષકોએ જણાવ્યું હતું કે હાંસોટથી નાનકડા ટેમ્પોમાં ૧૧ ગાયઓને ખોચોખીચ ભરી ભાઠેના કતલખાને લઈ જવાય રહી હતી. વિનોદ જૈન (ગૌરક્ષક) એ જણાવ્યું હતું કે ઘટના લગભગ વહેલી સવારે ૪ઃ૩૦થી ૫ વાગ્યા વચ્ચેની હતી. ગૌરક્ષકો બાતમીના આધારે વોચમાં હતા. પિક-અપ ટેમ્પોમાં ખીચોખીચ ગાયને લઈને નીકળેલા ટેમ્પાનો પીછો કરતા ચાલક ડરના મારે ભાગવા જતા ટેમ્પો જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ સાથે અથડાઈ ગયો હતો. વહેલી સવારે થયેલા આ અકસમાતમાં એક ગાયને ફ્રેક્ચર અને અન્ય ગાયોને નાની મોટી ઇજા થઇ હતી. ઘટનાની જાણ બાદ મોટી સંખ્યામાં ગૌરક્ષકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઝડપાયેલા ટેમ્પો ચાલક સહિત બન્નેને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે જહાંગીપુર પોલીસ સ્ટેશનને લઈ જવાયેલા બન્ને વ્યક્તિઓની પૂછપરછમાં ગાયને હાંસોટથી ભાઠેના લઈ જ જવાતી હોવાનું બહાર આવ્યું હતું. હાલ તમામ ગાયોને પાંજરાપોળ ખાતે મોકલી અપાય છે. ઘટનાની જાણ બાદ મોટી સંખ્યામાં ગૌરક્ષકો પોલીસ સ્ટેશને આવી ગયા હતા અને ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જહાંગીરપુરા પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે
