Gujarat

વેકેશન અને પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં કાંકરિયા, રીવરફ્રન્ટ, અટલબ્રીજ ના સમયમાં કરાયો વધારો

રાજ્યમાં ઉનાળાના વેકેશનના માહોલમાં શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓની ભીડ સતત વધી રહી છે. અસહ્ય ગરમીના કારણે લોકો ખાસ કરીને રાત્રિના સમયે રિવરફ્રન્ટ તરફ વળ્યા છે. નાગરિકો, બાળકો અને પ્રવાસીઓની આ ભારે ભીડ અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયમાં મોટો વધારો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્ક માટે હવે રાત્રે ૧૧ વાગ્યા સુધી ટિકિટ મળી શકશે. પ્રવાસીઓ હવે મધરાત્રિના ૧૨ વાગ્યા સુધી આ સ્થળો પર સમય વિતાવી શકશે. સમય વધારાનો આ નવો ર્નિણય આગામી સોમવાર, ૨૫ મે ૨૦૨૬ થી લાગુ થશે. જાે કે હાલમાં બ્રિજની કામગીરી ચાલતી હોવાથી સાબરમતી નદીમાં પાણી નથી, જે પ્રવાસીઓ માટે નિરાશાજનક પાસું છે.

આમ સામાન્ય દિવસોમાં સાબરમતી રિવરફ્રન્ટ હેઠળના તમામ ગાર્ડન અને લોકેશન રાત્રિના ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવે છે. પરંતુ વેકેશનના કારણે અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્ક ખાતે મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે. મહત્તમ લોકો રાત્રિના ઠંડા વાતાવરણમાં આ સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે તંત્રએ આ ત્રણેય મુખ્ય આકર્ષણોનો સમય ૧ કલાક વધારીને મધરાત્રિના ૧૨ વાગ્યા સુધીનો કર્યો છે.

સાથેજ એ વાત પણ ધ્યાન રાખવાની છે કે, જાે પ્રવાસીઓને નદીના નયનરમ્ય નજારા અને પાણીના વહેણ સાથે અટલ બ્રિજની સુંદરતા માણવા જઈ રહ્યા હોવ, તો તમને નિરાશા મળી શકે છે. કારણ કે અલગ અલગ કામગીરીને કારણે સાબરમતી નદી હાલ ખાલીખમ છે. હાલમાં રિવરફ્રન્ટ પર ચાલી રહેલી બ્રિજની કામગીરીને કારણે સાબરમતી નદીને ખાલી કરવામાં આવી છે (અમદાવાદ પુરતી). નદી અત્યારે સાવ ખાલીખમ પડી હોવાથી ખાસ કરીને અટલ બ્રિજ પર જતા લોકોને નદીનો એ અસલી અને આકર્ષક નજારો જાેવા મળી રહ્યો નથી. આમ છતાં, રાત્રિના સમયે રોશની અને ઠંડકનો આનંદ લેવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.