વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ‘વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષ’ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજી ખાતે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી અરાસુરી અંબાજી માતાજીના પવિત્ર ધામમાં વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ-વિધાન સાથે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મહાઆરતી દરમિયાન દેશની સુખાકારી, સમૃદ્ધિ, વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

મંત્રી પ્રવીણભાઈ માળીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સતત 12 વર્ષ સુધી દેશની સેવા કરીને વિકાસ અને સુશાસનના નવા માપદંડો સ્થાપિત કર્યા છે. તેઓ દેશના વડાપ્રધાન તરીકે સતત સૌથી વધુ સમય સેવા આપનાર નેતા બન્યા છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.

