પાટણ
મહાશિવરાત્રીના પર્વને લઈ તમામ લોકો આ દિવસે ઉપવાસ રાખે છે અને કંદમૂળ શક્કરીય અને બટાકાનું સેવન કરે છે. જેથી પાટણમાં શિવરાત્રી પર્વને લઈને કંદમૂળ શક્કરીયા અને બટાકા વેચનારા વેપારીઓ ઢગલા કરીને બેસી ગયા હતા. હાલમાં બજારમાં શક્કરીયાનો એક કિલો દીઠ ભાવ રૂ. ૪૦થી ૫૦ તેમજ બટાકાનો એક કિલો દીઠ ભાવ રૂ. ૧૫થી ૨૦ છે. શિવરાત્રી પર્વના દિવસે કંદમૂળ ખાવાની જૂની પરંપરા છે. ઉલ્લેખનીય છે કે શિવરાત્રીના દિવસે લોકો આ કંદમૂળ ખાઈ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપવાસ રાખે છે અને શ્રદ્ધાથી ભક્તિ કરે છે. પૌરાણિક કથાઓ મુજબ માતા પાર્વતીએ પણ કંદમૂળ ખાઈ શિવને પ્રાપ્ત કરવા માટે ઉપવાસ રાખ્યા હતા. નોંધનીય છે કે ભક્તો આ દિવસે ચાર પ્રહરની પૂજા કરી શિવ પાસે પોતાની મનોકામના માંગે છે. આ અંગે શક્કરીયા, બટાકા વેચતાં રાધાબેન પટનીએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી શક્કરીયા-બટાકાના ભાવ વધ્યા છે. નોંધનીય છે કે આજે સ્થાનિકો કંદમૂળની ખરીદી કરવા બજારોમાં ઉમટશે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.


