જામનગર
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથકથી દસ કિમી દુર આવેલ શીશાંગ ગામે બસ સ્ટેન્ડ પાસેથી એક મહિન્દ્રા કંપનીની એમ.ડ્યુરા માલવાહક વાહનમાં દારૂનો જથ્થો હેરાફેરી કરવાની પેરવી થવાની હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી. જેમાં બસ સ્ટેન્ડ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી જી.જે.-૦૩-બી.વી.-૫૦૧૫ નંબરના વાહનને આંતરી લઇ પોલીસે તલાસી લીધી હતી. પરંતુ આ વાહનમાંથી જંતુનાશક દવાના પાર્સલ મળી આવ્યા હતા.બીજી તરફ ચાલક મનોજ ઉર્ફે મનો રામજીભાઇ રાતડીયા રહે કર્મચારી સોસાયટી શેરી નં-૧, મેલડી માતાના મંદીર પાસે, રાજકોટ વાળાએ આ જ જંતુનાશક દવાના બીલ પણ રજુ કરતા પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી. પરંતુ પોલીસે એ જ પાર્સલને ખોલીને ચકાસતા તેની અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એક પછી એક પાર્સલ ખોલી નાખી કુલ રૂપિયા૧,૩૮,૦૦૦ની કીમતનો ૨૮૬ બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે આ દારૂનો જથ્થો કબજે કરી આરોપીની પૂછપરછ કરી હતી. જેમાં પ્રતીપાલસિંહ બળદેવસિંહ જાડેજા રહે-ભાયુ ખાખરીયા, દિપેન્દ્રસિંહ ઉર્ફે લાલો પરાક્રમસિંહ જાડેજા રહે ભાવાભી ખીજડીયા ગીરીરાજસિંહ બળવંતસિંહ જાડેજા રહે સાતોદડ તા.જામંકંડોરણા, શીવરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા રહે-કર્મચારી સોસાયટી, રાજકોટ વાળા શખ્સોની સંડોવણી ખુલવા પામી હતી. કાલાવડ તાલુકાના ભાયુ ખાખરીયા ગામે રહેતા આરોપી પ્રતીપાલસિંહ તથા દિપેન્દ્રસિંહ ઉર્ફે લાલો પરાક્રમસિંહ જાડેજા અને જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામે રહેતા આરોપી ગીરીરાજસિંહ બળવંતસિંહ જાડેજા તેમજ શીવરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજાએ આ જથ્થો વેચાણ અર્થે મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ શખ્સોને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહી ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે આરોપીઓએ દારૂના જથ્થાની સપ્લાય માટે જંતુનાશક દવાના પેકિંગનો ઉપયોગ કર્યો અને એ પણ બીલ સાથે, છતાં પણ પોલીસના પંજાથી બચી શક્યા ન હતા.જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો વિશાળ જથ્થો પકડી પાડ્યો છે. રાજકોટ અને કાલાવડ પંથકના ચાર શખ્સોએ રાજકોટથી આ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂ સપ્લાય કરવા આવેલ રાજકોટના સખ્સને પકડી પાડ્યો છે. જયારે અન્ય શખ્સોને ફરાર દર્શાવાયા છે. આ શખ્સોએ દારુની હેરાફેરી માટે ગજબ નો આઇડીયા લગાવ્યો હતો પણ પોલીસની નજરથી બચી શક્ય ન હતા.
