નવસારી
નવસારીના ધોબીવાડમાં આવેલા શ્રી કૃષ્ણ સ્મૃતિ એપાર્ટમેન્ટના ૩૦૧ નંબરના મકાનમાં રહેતા ઉમેશભાઈ રાજપુત લોન્ડ્રીનો વ્યવસાય કરે છે. એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા પોતાના સસરાને ત્યાં દરરોજ ખબર અંતર લેવા માટે જાય છે પણ તેમની તબિયત લથડતાં ત્યાં જ રાતવાસો કરવાનું તેમને ભારે પડયું છે. કારણ કે બંધ ઘરનોનો લાભ ઉઠાવી તસ્કરો લોખંડના દરવાજાનો નકૂચો તોડીને બેડ રૂમમાં પ્રવેશી કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના તથા ચાંદીના સિક્કાઓ મળી કુલ ૨,૩૯,૫૦૦ તથા રોકડા રુપિયા ૪૨ હજાર મળી કુલ ૨,૮૧,૫૦૦ની ચોરી કરી નાસી ગયા છે. બે દિવસ અગાઉ આશા નગર વિસ્તારમાં આવેલી કપડાની દુકાનમાં રવિવારની રજા હોઈ દુકાન બંધ હોવાનો લાભ લઈ તસ્કરોએ દુકાનનું તાળુ તોડી કપડાં રોકડ મળી અંદાજે ૩ લાખથી વધુની ચોરી કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે.નવસારી જિલ્લામાં ચોરો પોલીસ માટે પડકારરૂપ બન્યા હોય તેમ છાશવારે ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. જેમાં ખાસ કરીને ટાઉન પોલીસની ઉંઘ હરામ થઈ હોય તેમ આશા નગરમાં બે દિવસ અગાઉ થયેલી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં ફરી વાર ધોનીવાડમાં બંધ મકાનમાં દરવાજાનો નકૂચો તોડી ને ચોરીની ઘટના સામે આવી છે.


