ભરૂચ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી અમી વર્ષા ટારપોઈન કંપનીના રૂમમાં બોથડ પ્રદાર્થ વડે મિત્રએ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. અમી વર્ષા ટારપોઈન કંપનીના રૂમમાં રહેતા મોહમદ નરુંદીન સાવંત પોતાના રૂમ પર હતો. તે દરમિયાન અગાઉના ઝઘડાની રીસ રાખી હમીદ અલી ઉર્ફે જુમ્મન રમઝાન અલી શાહ ત્યાં આવ્યો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝગડા દરમિયાન આવેશમાં આવી ગયેલા હમીદ અલીએ મોહમદ નરુંદીન માથા અને આંખ તેમજ કપાળના ભાગે બોથડ પ્રદાર્થ વડે હુમલો કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા જીતેન્દ્ર અંબાલાલ બ્રહ્મભટ્ટ ત્યાં દોડી ગયા હતા અને બનાવ અંગેની જાણ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક યુવાનના મૃતદેહનો કબજાે મેળવી તેના મૃતદેહને સરકારી દવાખાને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી હમીદ અલીએ મર્ડર કર્યા બાદ લોહીથી લથબથ થયેલા હાથને દીવાલ પર લુછયા હોવાનું પણ ક્રાઈમ સીન પરથી ફલિત થાય છે જે દિશામાંમાં પોલીસ એફ.એસ.એલ. ની મદદ લઇ આગળ તપાસ હાથ ધરશે.


