ગુજરાત રાજ્યમાં પશુઓમાં પ્રસરેલા લમ્પી વાયરસનાં પગલે રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે પશુપાલન વિભાગ દ્વારા તાકીદે પગલાં લેવામાં આવ્યા છે. પશુઓમાં આ રોગ વધુ ન ફેલાય તે માટે પશુચિકિત્સકો દ્વારા રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમજ પશુપાલકોને પણ જરૂરી પગલાં લેવા સૂચનો કરવામાં આવ્યા છે.
પશુઓની તાકીદે સારવાર થાય તે માટે પશુ એમ્બ્યુલન્સ સતત કાર્યરત છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં લાયઝન અધિકારીઓની પણ નિમણુક કરવામાં આવી છે, તેમજ ગામડાઓમાં તલાટી મંત્રી, ગ્રામસેવક, સરપંચો તેમજ વધારાના પશુ ડોકટરો ફાળવીને રોગને કાબૂમાં લેવા માટે સરકાર સતત પ્રયત્ન કરી કામગીરી કરી રહી છે.
