નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે હાર્દિક પંડ્યાએ ઈજામાંથી વાપસી કરી ત્યારપછીથી તે પોતાની રમતને સારી રીતે સમજવા લાગ્યો છે અને બેટ તેમજ બોલ બન્ને વડે શ્રેષ્ઠ દેખાવ કરવા માટે વધુ આશ્વસ્ત છે. હાર્દિક પંડ્યાએ રવિવારે એશિયા કપમાં પાકિસ્તાન સામેના પ્રારંભિક મુકાબલામાં સૌપ્રથમ બોલિંગમાં પોતાનો કમાલ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી ત્યારબાદ બેટિંગમાં ૧૭ બોલમાં અણનમ ૩૩ રન ફટકારીને જલવો બતાવ્યો હતો. રોહિતે જણાવ્યું કે, હાર્દિક એવો પ્લેયર છે જે મેચમાં વિવિધ પરિસ્થિતિમાં કેવો દેખાવ કરવો તે સારી રીતે સમજી શકે છે. રોહિતે મેચ બાદ જણાવ્યું હતું કે, હાર્દિક વાપસી પછી વધુ સારો દેખાવ કરી રહ્યો છે અને તેણે ફિટનેસ પર ધ્યાન આપ્યું છે જે સારી બાબત છે તે ૧૪૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરી શકે છે અને તે સારો બેટ્સમેન પણ છે. હાર્દિકે મેચમાં નિર્ભિક થઈને બેટિંગ કરી હતી અને તેનાથી ટીમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકી તેમ કેપ્ટને વધુમાં ઉમેર્યું હતું.


