જામનગર, તા. ૩ સપ્ટેમ્બર, તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી રાજ્યમાં ૩ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર તથા ૪ પ્રાઈમરી પ્રોસેસિંગ સેન્ટરના ખાતમુહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લામાં ખેડૂતોની સુખાકારી વધારવાના ઉમદા હેતુથી રૂ. ૨૫૦૦ લાખના ખર્ચે પ્રાયમરી પ્રોસેસીંગ સેન્ટર બનવા જઈ રહ્યું છે. આ ઉપરાંત, બહુવર્ષાયુ ફળપાકોના વ્યાપારિક ધોરણે વાવેતર વિસ્તારને પ્રોત્સાહન આપવા માટે કોમ્પ્રેહેંસિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ રૂ. ૬૫૦ લાખના ખર્ચે મંજુર કરવામાં આવ્યો છે.
આ ખાસ પ્રસંગે કાલાવડ તાલુકાના યુવા ખેડૂત શ્રી વિશાલભાઈએ સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે જે ધ્રોલ ખાતે સેન્ટર ઓફ એકસેલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તેનાથી જામનગર જિલ્લાના ખેડૂતોને પ્રોસેસિંગ યુનિટની સેવા ઘર આંગણે જ ઉપલબ્ધ બની છે. મસાલા પાકો જેવા કે અજમા, ધાણાજીરું, જેનું આપણા જામનગરની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન દર વર્ષે થતું હોય છે. અજમાનું પ્રોસેસિંગ કરવા માટે ખેડૂતોને હંમેશા દૂર જવું પડતું હોય છે, જ્યારે હવેથી જામનગરના ખેડૂતોને નજીકમાં જ એનું પ્રોસેસિંગ અને ગ્રેટીંગ થઈ શકશે. જેના કારણે એમને પોષણક્ષમ ભાવ મળશે અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને સમય પણ ખૂબ ઘટી જશે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે. એ ઉપરાંત જે ખેડૂતો બાગાયતી ખેતી કરે છે, તેમજ ફળ પાકો જેમ કે ડ્રેગન ફ્રુટ/કમલમ ફ્રુટ અને અન્ય શાકભાજીઓ- જેનું પ્રોસેસિંગ કરવા માટે આપણે મોટાભાગે દૂર જવું પડતું હતું. આ સેન્ટરના લોકાર્પણથી પ્રોસેસિંગ અને ગ્રેટીંગ પ્રક્રિયા માટે ધ્રોલમાં ઉપલબ્ધ છે. જે ખેડૂતો માટે ઘણી રાહતલક્ષી સુવિધા એકંદરે સાબિત થઈ છે. આ તકે હું મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.

