જૂનાગઢ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ટ્રેકટર ઘટકનો ડ્રો જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અને લાભાર્થી ખેડુતોની હાજરીમા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજવામા આવ્યો હતો.
આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્રારા જણાવવામાં આવ્યુ કે, ખેતીવાડી ખાતાના યાંત્રીકરણના તમામ ઘટકોમાં લાભાર્થીઓનો અગ્રતા ક્રમ નક્કી કરવામાં પારદર્શકતા અને પક્ષપાત વગર આઇ ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન સરકારશ્રી દ્રારા ડ્રો પધ્ધતિ દાખલ કરવામાં આવેલ છે. ત્યારબાદ ખેતીવાડી અધિકારીશ્રી દ્રારા જે તે તાલુકાના હાજર રહેલ ટ્રેકટર ઘટકમાં અરજી કરેલ લાભાર્થીઓના હસ્તે ઓનલાઇન ડ્રો કરવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે જૂનાગઢ જિલ્લામાં ૧૯૫૭ ટ્રેકટરનો લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે. જેનો તાલુકાવાર લક્ષ્યાંક ખાતેદાર ખેડૂતોની સંખ્યાના આધારે જે તે તાલુકામાં ફાળવવામાં આવેલ છે.
જેમા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ગૌરવ દવે દ્વારા આઇ ખેડુત પોર્ટ્લમા ડ્રો વિશે માહીતી આપતા જણાવ્યું કે, આઇ ખેડૂત પોર્ટ્લમા ડ્રો માં ચાલુ વર્ષથી પ્રાયોરીટી મુજબ ૫% દીવ્યાંગ લાભાર્થીઓ અને ૩૩% મહીલા લાભાર્થીઓને અનામત આપેલ છે. જેથી તમામ ખેડુત ભાઇઓ અરજી કરતી વખતે ખાસ ધ્યાન રાખે કે, અરજદારે જે કેટેગરીમાં અરજી કરેલ છે તે મુજબ જરૂરી આધાર પુરાવા સંબંધીત અરજદારશ્રીએ રજૂ કરવાના રહેશે. અન્યથા તેમની સહાય દરખાસ્ત સરકારશ્રીના ધારા ધોરણો મુજબ નામંજૂર કરવામાં આવશે. અરજદારે અરજીમાં દર્શાવેલ બેંક ખાતા નંબરમાં જ NEFT મારફત સહાય જમા કરવામાં આવે છે. જેથી અરજદારશ્રીઓને બેંકની વિગતો ખાસ ચકાસણી કરીને જ આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કરવા જણાવ્યું હતું.
વધુમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ગૌરવ દવે દ્રારા જણાવવામાં આવ્યુ હતું કે, પી.એમ. કિશાન યોજનામાં જૂનાગઢ જિલ્લામાં આગામી સમયમાં બારમો હપ્તો E-KVYC કરેલ લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવનાર છે. તો જે લાભાર્થીઓને E-KYC કરવાનું બાકી હોય તેમણે તાત્કાલીક મોબાઇલ એપ્લીકેશન અથવા સી.એસ.સી. સેન્ટર પર E-KYC પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવી અને જે લાભાર્થી ખેડૂતોને ઇ-શ્રમ કાર્ડ કઢાવવાનું બાકી હોય, તેમણે સીએસી સેન્ટર પર ઇ-શ્રમ કાર્ડ કઢાવવા કહ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, ઉપ પ્રમુખશ્રી વિપુલભાઇ કાવાણી, કારોબારી ચેરમેન શ્રીમતી કંચનબેન ડઢાણીયા, મહીલા અને બાળવિકાસ સમિતીના અધ્યક્ષ શ્રીમતી લાભુબેન ગુજરાતી, સિંચાઇ સમીતી પ્રમુખ શ્રી અતુલભાઇ ઘોડાસરા, આરોગ્ય સમીતીના અધ્યક્ષ શ્રી પ્રવિણભાઇ પટોળીયા, સાવજ ડેરી ચેરમેન શ્રી દિનેશભાઇ ખટારીયા, તેમજ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓએ હાજર રહી સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહેલ પારદર્શક તેમજ નિષ્પક્ષ કામગીરીને બિરદાવી હતી.


