રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે બેડ ખાતે રૂ.1.23 કરોડના ખર્ચે બેડ – રસુલ નગર સુવિધા પથ તથા બે માઇનોર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું.જેમાં આગામી સમયમાં રૂ.80 લાખના ખર્ચે બેડ રસુલનગર સુધીનો 880 મીટર લંબાઈ તથા 5.50 મીટર પહોળાઈનો સી.સી. રોડ તેમજ રૂ.43 લાખના ખર્ચે બે માઇનોર બ્રિજ તેમજ રોડની બંને બાજુ પેવર બ્લોક તથા બાંકડા બેન્ચનું નિર્માણ કરવામાં આવશે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગણી હતી કે રસુલનગર બેડ રસ્તાનું નિર્માણ થાય.લોકોની અવરજવર તથા ખેતી માટે ઉપયોગી એવા આ રસ્તા માટે સરકારે અગ્રતાના ધોરણે મંજૂરી આપી ગ્રામજનોની સુવિધામાં વધારો કર્યો છે. સિંચાઈ, રસ્તા, પીવાના પાણી, પરિવહન સહિતના પ્રશ્નો પરત્વે સરકારે હકારાત્મક અભિગમ દાખવી આ તમામ કામો પૂર્ણ કર્યા છે. લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને અનુસરી ગ્રામ લોકોને વધુમાં વધુ સુવિધા મળે તે માટેના અવિરત પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગામડા શહેરની સમકક્ષ બને તેમજ ગામડાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય તે માટે કરોડોના ખર્ચે સરકાર દ્વારા જન સુખાકારીના કામો પૂર્ણ કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ કામગીરી પૂર્ણ થયે બેડ તથા રસુલનગર તથા આજુબાજુના ગામોને તથા ગામના વાડી વિસ્તારના રહીશોને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓથી રાહત મળશે.
આ પ્રસંગે મહામંત્રી શ્રી કુમારપાલસિંહ રાણા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રણછોડભાઈ પરમાર, શ્રી મનસુખભાઈ, શ્રી ભવાનભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વિઠ્ઠલભાઈ, શ્રી વિપુલસિંહ જાડેજા, બેડ તથા રસુલનગરના સરપંચ શ્રી કેશુભા જાડેજા તથા શ્રી કરીમભાઈ, શ્રી લગધીરસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


