બોડેલી ખાતે પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો
દેશમાં વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાત રાજય હવે સ્માર્ટ રાજય બને એવું મનોમંથન અને ગતિવિધિ શરૂ કરવામાં આવી છે એમ રાજયના મહિલા અને બાળ વિકાસ(સ્વતંત્ર હવાલો) અને સામાજીક ન્યાય અને અધિકારિતા(અનુસૂચિત જાતિ) રાજયમંત્રી શ્રીમતિ મનિષાબેન વકીલે જણાવ્યું હતું.
બોડેલી ખાતે આવેલી શેઠ ટી.સી.કાપડિયા કોલેજની બાજુમાં આવેલા મેદાનમાં યોજાયેલી બોડેલી પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી શ્રીમતિ મનિષાબેને જણાવ્યું હતું કે, મજબુત મનોબળ ધરાવતા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્રઢતાથી કામ કરે છે એમ કહી તેમણે સરકાર દરેક ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ હાંસલ કરતું જ રહ્યું છે એમ જણાવી તેમણે શિક્ષણના આધુનિકકરણ તરફ ડગ માંડતા સરકાર હવે સ્માર્ટ કલાસ બનાવવા જઇ રહી છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સરકાર દ્વારા સર્વ સમાજના સમતોલ વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનો પણ વિગતે ચિતાર રજૂ કર્યો હતો.
વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સગર્ભા બહેનોને પુરતું પોષણ મળી રહે એ માટે રૂપિયા ૮૧૧ કરોડની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલમાં મુકવામાં આવી છે એમ કહી તેમણે છેવાડાના માનવીને પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય એની ચિંતા સરકાર દ્વારા કરવામાં આવે છે એમ જણાવ્યું હતું.
છોટાઉદેપુરના સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, સરકારે છેવાડાના માનવીની ચિંતા કરી છે એમ કહી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ, નલ સે જલ યોજના સહિતની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી એમ કહી એમણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડથી અનેક લોકોની જિંદગી બચી ગઇ હોવાનું કહી તેમણે છોટાઉદેપુર જિલ્લાના રૂમડિયા ગામનો યુવાન આજે કેનેડામાં પાયલોટની તાલીમ મેળવી પાયલોટ બન્યો હોવાનું જણાવ્યું હતું.
સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીએ તેમના મતવિસ્તારમાં ૪૦૦ કરોડ રૂપિયાના વિકાસ કામોની સરકારે મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં પણ રોડ અને કોઝ-વે સહિતના મંજૂર થયેલા કામો તથા શાળાએ જતા બાળકો માટે શાળા સુધીના રસ્તાઓ બનાવવામાં મળેલી મંજુરી અંગે પણ વિગતે વાત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ ઓ.એન.જી.સીના સહયોગથી મન:સૃષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટી.બી.ના દર્દીઓ માટે તૈયાર કરવામાં પોષણ કીટનું ૭૦૦ દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવો દ્વારા બોડેલી પ્રાંત વિસ્તારમાં આગામી સમય દરમિયાન કરવામાં આવનાર વિવિધ વિભાગના ૧૦.૫૨ કરોડના કામોનું ખાતમુહૂર્ત તેમજ વિવિધ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવેલા ૪.૮૩ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા બોડેલીના પ્રાંત અધિકારી સુશ્રી. મૈત્રીદેવી સિસોદીયાએ કાર્યક્રમના આયોજનનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


