રાષ્ટ્રીય લઘુમતી શિક્ષણ સંસ્થાન આયોગના ચેરમેન શ્રી ન્યાયાધીશ નરેન્દ્રકુમાર જૈને આજરોજ લઘુમતી શિક્ષણ સંસ્થાઓના હોદ્દેદારો, આગેવાનો સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે લઘુમતી સમાજના પ્રશ્નો – રજૂઆતો તેમજ નવી શિક્ષણનીતિની ચર્ચા કરી હતી.
આ તકે ચેરમેન શ્રી નરેન્દ્રકુમાર જૈને જણાવ્યું હતું કે નવી શિક્ષણનીતિ ૨૦૨૨ સ્વામી વિવેકાનંદ ના વિચારોથી પ્રેરિત છે. નવી શિક્ષણનીતિ રાષ્ટ્રીયતાની ભાવના વિકસાવવામાં ઉપયોગી બનશે. તેમને શિક્ષણ સંસ્થામાં રાષ્ટ્રીયતાનું શિક્ષણ આપવા પણ અનુરોધ કર્યો હતો. નવી શિક્ષણનીતિમાં સૌથી મહત્વની બાબત એ છે કે સ્થાનિક ભાષા પર પણ પ્રાધાન્ય અપાયું છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે નવી શિક્ષણનીતિથી ગ્રેડિંગ આધારિત હશે. સંસ્થાઓમાં ઈનફ્રાસ્ટ્રક્ચર, રિઝલ્ટના આધારે ફી નક્કી થશે.
શ્રી નરેન્દ્રકુમાર જૈને જણાવ્યું હતું કે લઘુમતી શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણની સાથે સાથે બાળકોને મુખ્ય ધારામાં લાવવામાં પણ ધ્યાન આપે એ જરૂરી છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે દેશના વિકાસમાં લઘુમતીઓનું યોગદાન ખૂબ મોટું છે.
આ તકે કમિશનના સચિવ શ્રી કેજરીવાલે કમિશનની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા.આ મિટિંગમાં જૂનાગઢ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિના શ્રી એ.ટી. ખમળે બેઠકનું સંચાલન કર્યું હતું. તેમજ જૂનાગઢ જિલ્લામાં લઘુમતી માટે થતી કામગીરીની વિગતો થી સૌને અવગત કરાવ્યા હતા.
આ તકે જૂનાગઢ જિલ્લા અધિક કલેક્ટર શ્રી એલ.બી.બાંભણીયા, જૂનાગઢ એસડીએમ શ્રી ભૂમિ કેશવાલા, જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જલ્પા ક્યાડા, જિલ્લાની વિવિધ શિક્ષણ સંસ્થાઓના પ્રિન્સિપાલ, મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી સમાજના આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


