જામનગર જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ સમાવિષ્ટ કેન્દ્રો પર મધ્યાહન ભોજનનો લાભ લેતા બાળકોને પોષણયુક્ત આહાર આપી તેઓના કુપોષણ અને ઊણપને દૂર કરવામાં આવે તે હેતુસર કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે. બાળકોમાં એનીમિયા અને સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપને દૂર કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં ફોર્ટિફાઇડ ચોખાનું વિતરણ કરવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફોર્ટિફાઇડ ચોખા એટલે કે ૧૦૦ ચોખાના દાણા એ એક પ્રિમિક્સ ચોખાનો દાણો ઉમેરવામાં આવે છે, જેમાં આયર્ન, વિટામિન બી-૧૨ અને ફોલિક એસિડ(બી-૯) ઉમેરવામાં આવતાં બાળકોને પુરતું પોષણ મળી રહેશે. આ આહાર શાળામાં અભ્યાસ કરતા બાળકોના વિકાસમાં ઉપયોગી છે તેમજ તેનાથી બાળકોમાં રહેલા કુપોષણને નિવારી શકાય છે. ફોર્ટિફાઇડ પ્રિમિક્સ ચોખામાં રહેલો એક દાણો પોષક તત્વોના ભંડારની ગરજ સારે છે. ફોર્ટિફાઇડ ચોખાના આહારથી બાળકોની રોગ પ્રતિકારકશક્તિ વધે છે.
જો કે, પ્રિમિક્સ ચોખાનો દાણો પ્લાસ્ટિકના ચોખાનો હોવા બાબતે ભ્રમ સર્જાય છે. પ્રિમિક્સ ચોખાનો દાણો ખરેખર પ્લાસ્ટિકનો દાણો હોતો નથી પરંતુ આયર્ન, વિટામિન બી-૧૨ અને ફોલિક એસિડનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હોય છે આ પ્રકારના ફોર્ટિફાઇડ ચોખાનું વિતરણ જામનગર જિલ્લાના દરેક મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો પર કરવામાં આવશે તેમ નાયબ કલેકટરશ્રી, મધ્યાહન ભોજન યોજના જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
દિવ્યા ત્રિવેદી
