નવીદિલ્હી
દક્ષિણ આફ્રિકા સામે ૨૮ સપ્ટેમ્બરને બુધવારથી શરૂ થતી ટી૨૦ શ્રેણી પૂર્વે ભારતીય ટીમમાં બે મોટા ફેરફાર કરાયા છે. હાર્દિક પંડ્યાને સાઉથ આફ્રિકા સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે જ્યારે દીપક હુડ્ડાને પીઠમાં સ્નાયૂ ખેંચાઈ જતા તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેમના બદલે બંગાળના ઓલ રાઉન્ડર શાહબાઝ અહેમદ અને બેટ્સેન શ્રેયસ ઐયરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમી હજુ કોરોનામાંથી સંપૂર્ણ ફિટ નહીં થયો હોવાથી તેને ટીમમાંથી બહાર રખાયો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા ૨૮મીએ તિરુવનંતપુરમમાં પ્રથમ ટી૨૦ આંતરાષ્ટ્રીય મેચ રમશે. બીસીસીઆઈના સૂત્રએ જણાવ્યું હતું કે, શમીના સ્થાને ઉમેશ યાદવ ભારતીય ટીમની સાથે જાેડાયેલી રહેશે. સીનિયરલ સિલેક્ટર્સે હુડ્ડાના સ્થાને મિડલ ઓર્ડર બેટ્સમેન ઐયરને ટીમમાં સામેલ કર્યો છે જ્યારે પંડ્યાના વિકલ્પ તરીકે શાહબાઝને ભારતીય ટીમમાં લેવાયો છે. દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં રજત પાટિદારને ટીમમાં લેવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે. પાટિદારે સ્થાનિક ક્રિકેટ અને ન્યૂઝીલેન્ડ એ સામેની ટેસ્ટમાં પોતાનું શાનદાર ફોર્મ બતાવ્યું હતું.


