ગાંધીનગર
ગાંધીનગરમાં રખડતા ઢોરોનો દિન પ્રતિદિન ઉપદ્રવ વધી રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. સવાર પડતાં જ રખડતા ઢોર માર્ગો ઉપર અડીંગો જમાવીને બેસી જતા હોવાથી નાનામોટા અકસ્માતો સર્જાતા રહેતા હોય છે. એક બનાવમાં અડાલજના આધેડને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. અડાલજનાં શ્રીનાથ બંગલોની પાસે એરિયન સોસાયટીમાં રહેતા મૂળ જામજાેધપુરના વતની પ્રફુલભાઈ રતિલાલ મહેતા(ઉં. ૪૯) અડાલજથી બાલાપીર તરફ બાઈક લઈને જઈ રહ્યા હતા. એ વખતે અચાનક જ ગાય રસ્તામાં આવીને બાઇકને અથડાઈ હતી. જેનાં કારણે પ્રફુલભાઈએ બાઈક પરનો કાબુ ગુમાવી દેતાં તેઓ રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં પ્રફુલભાઈને શરીરે તેમજ માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જ્યારે એકઠા થયેલા રાહદારી વાહન ચાલકોમાંથી કોઈએ જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને પ્રફુલભાઈને લોહી લુહાણ હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં પરના તબીબે પ્રાથમીક સારવાર શરૂ કરી હતી. પરંતુ સારવાર દરમિયાન અચાનક તબિયત વધુ લથડતા પ્રફુલભાઈનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે અડાલજ પોલીસ મથકના જમાદાર રતનલાલ સિવિલ દોડી આવ્યા હતા. અને અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.અડાલજનાં બાલાપીર રોડ પરથી પસાર થતી વખતે અચાનક ગાય બાઈક સાથે અથડાતાં ચાલકે બાઈક પરનો કાબુ ગુમાવી દીધો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બાઈક સવારને ગાંધીનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જાેકે, બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજતા અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.

