સુરેન્દ્રનગર
દેશ સહિત ગુજરાતના અનેક ઐતિહાસિક સ્થળોની હાલત ખરાબ જર્જરિત જાેવા મળી રહી છે ત્યારે ૧૮ એપ્રિલના દિવસે એટલે કે વિશ્વ વારસા દિવસે આવા સ્થળોની આવી ખરાબ હાલત જાેઈ લોકો પણ વિચાર કરે છે કે આવી હાલતમાં આવનારી પેઢીને આપણો વારસો કેવી રીતે ખબર પડશે સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડાના ગામ ફરતે આવેલો જાજરમાન કિલ્લો કર્ણ સોલંકીના કુમાર સિદ્ધરાજ જયસિંહદેવે સંવત ૧૧૬૫ (ઇ.સ.૧૧૦૯)માં મહાવદી ચોથના દિવસે ગઢ બાંધવાનું મુહુર્ત કર્યુ હતુ. વધુમાં આ ઐતિહાસીક કિલ્લાની અંદર ૧૦૦ વીઘામાં પથ્થરની શીલાઓથી ઓંવારા સહિત સિંહસર નામનું તળાવ અને તેની બાજુમાં ઐતિહાસીક સમરવાવ આવેલી છે. આ ઐતિહાસીક કિલ્લો કલા કારીગરીના ઉત્કૃષ્ટ નમુનારૂપ ઝીંઝુવાડાના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે. હાલમાં ઝીંઝુવાડાની ભવ્ય ઐતિહાસીક ધરોહર ભૂતકાળની ગર્તામાં ધકેલાઇ ગઇ છે. ઝીંઝુવાડાનો આકાશમાં હવા સાથે વાત કરતો આ કિલ્લો ચારે બાજુએથી સમચોરસ છે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ દિશામાં એની લંબાઇ-પહોળાઇ ૮૦૦ યાર્ડ છે. થોડા સમય અગાઉ પૂરાતત્વ વિભાગ દ્વારા ભવ્ય ભૂતકાળને વાગોળતા ઐતિહાસીક વારસાને જીવંત રાખવા એનું સમારકામ હાથ ધરાયું હતુ. રણકાંઠાના ઝીંઝુવાડાના ઐતિહાસીક જાજરમાન દરવાજાઓ આજેય હવા સાથે વાતો કરતા ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે. પાટડીમાં રાજાની યાદમાં બાપાના દેરા અને રાણીની યાદમાં તુલસીના ક્યારા આજેય ભવ્ય ભૂતકાળની ગવાહી પુરી પાડે છે, આ ઐતિહાસીક દેરાઓની આગળ કૂંવરોની યાદમાં નાની-નાની દેરીઓ બનાવેલી છે. કલાકૃતિના ઉત્કૃષ્ઠ નમૂનારૂપ આ દેરાઓમાં વપરાયેલા પથ્થર દુર્લભ અને બેનમૂન હોવાની સાથે પાટડીના ભવ્ય ભુતકાળને વાગોળે છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની સરહદોના ત્રિભેટે એક અડીખમ રક્ષણહાર તરીકે મજબુત કિલ્લેબંધીવાળા પાટડી નગરનું ઇતિહાસમાં ગૌરવવંતુ સ્થાન છે. પાટડીના ઇતિહાસની ગરીમાઓથી સદૈવ છલકાતા સ્વાતંત્ર્યપ્રેમ, શોર્ય, સંમર્પણ, સ્નેહ અને સત્કારની ઉષ્મામાં રહેલી છે. ત્યારે દેસાઇઓએ વર્ષો અગાઉ એક લાંબી અને વિકટ યાત્રા પંજાબથી શરૂ કરીને તે યાત્રાનો અંતિમ પડાવ વિરમગામથી નિકળીને પાટડીમાં કર્યો હતો. એમની આ લાંબી અને વિકટયાત્રા સદીઓના ભંયકર સંઘર્ષની યાદ અપાવે છે. દેસાઇઓમાં સાહસ, શોર્ય, ધૈર્ય, મુત્સદીગીરી, ભક્તિ અને દાનવીરતાના ગુણોનો સંગમ રહેલો છે. તેનો સૈકાઓનો ઇતિહાસ સાક્ષી પુરે છે. ઇ.સ. ૧૭૪૧ સંવત ૧૭૯૭ના ચૈત્ર સુદ-૨ દેસાઇ ભાવસિંહજીએ વિરમગામના માન સરોવરના સિદ્ધ પુરૂષ વિષ્ણુદત્તના આશિર્વાદ લઇ પાટડીમાં રાજગાદી સ્થાપી હતી. ૨૦૦ વર્ષ સુધી પાટડીની અસ્મિતા ટકાવી રાખવામાં તેમજ તેના વિકાસમાં દેસાઇ રાજવંશનો ફાળો અતુલ્ય છે.


