હિંદુ ધર્મમાં ગણેશ પૂજાનું વિશેષ મહત્વ છે. ગણેશ પુરાણ પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથ તિથિએ દુંદાળા દેવ ગણેશજીનો જન્મ થયો હતો. આ તિથિએ ગણેશ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આજના દિવસે ગણેશ સ્થાપનાથી જ ગણેશોત્સવની શરૂઆત થાય છે અને ૧૦ દિવસ સુધી ચાલે છે. ભક્તો ગણપતિ બાપાની પૂજા માટે મૂર્તિ સ્થાપિત કરીને તેની પૂજા કરે છે અને ભગવાન શ્રીગણેશનો જન્મોત્સવ મનાવે છે. તેનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થઈને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ આજના સમયમાં પીઓપી ની મૂર્તિ નું ચલણ વધી રહ્યું છે ત્યારે પર્યાવરણ ને થતુ નુકસાન અટકાવવા આ વર્ષે વૈભવ બંગ્લોઝ, ભરૂચ ના મંડળ ની બહેનો અને ભાઈઓ દ્વારા ૨૧ ઈંચ ની ગણેશજીની માટીની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી છે સાથે ગણેશ પંડાલનો શણગાર અને સજાવટ વૈભવ બંગ્લોઝના બાળકો,યુવાનોએ અને બહેનોએ સાથે મળીને પ્રાકૃતિક ચીજવસ્તુઓથી કરેલ છે. ગણેશજી ને છપ્પનભોગ નો પ્રસાદ ધરાવી સર્વ જગત નું કલ્યાણ થાય લોકો ના દુઃખ દૂર થાય. જગતમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી કામના કરવામાં આવી.
ભરૂચ ના પ્રકૃતિ પ્રેમી વૈભવ બંગ્લોઝ ના નિવાસીઓએ સંકલ્પ કર્યો છે કે તેઓ પર્યાવરણ ને થતું નુકસાન અટકાવવા દર વર્ષે માટીના ગણેશ ની મૂર્તિ નું સ્થાપન કરશે અને તેનું પ્રાકૃતિક રીતે પોતાની સોસાયટીમાં જ કૃત્રિમ કુંડ બનાવી તેમાં ગણેશજી નું વિર્સજન કરશે. વિર્સજન બાદ જે માટી રહશે તેમાં પ્રકૃતિ પ્રેમી અને સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા આપવામાં આવેલ પવિત્ર તુલસીનાં રોપાઓને રોપશે. સોસાયટીના હરજીભાઈ બળેજાના કહેવા મુજબ ફુલ અને પૂજાપા ના નિર્માલ્ય નું ખાતર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવશે જેથી પવિત્રતા જળવાય અને તેનો યોગ્ય નિકાલ થાય. ગણપતિ ની નાની મુર્તિના સ્થાપનનો હેતુ એ છેકે બધા જ લોકોની ધાર્મિક આસ્થા જળવાઈ રહે અને નદી, તળાવના પાણી માં થતા પ્રદુષણને અટકાવી શકાય.


