જામનગર જિલ્લામાં છેલ્લા ૩ માસથી ગાય વર્ગના પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝ નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. જિલ્લાના રોગગ્રસ્ત પશુધનને આ રોગની તાત્કાલીક સારવાર ઉપલબ્ધ થાય તેમજ ચેપી રોગના ફેલાવાને અટકાવવા માટે માન.કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની સુપરવીઝનમાં જિલ્લાના પશુ ડોકટર તથા અન્ય સંલગ્ન અધિકારીઓની ટીમ દ્વારા રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાના ૪૧૭ ગામમાં ગાય વર્ગના પશુધનની અંદાજીત સંખ્યા ૧૩૮૧૭૬ છે તે પૈકી હાલેની સ્થિતિએ આ રોગથી અસરગ્રસ્ત પશુઓની સંખ્યા ૩૩૧૫ છે જે પૈકી તમામ પશુઓને જિલ્લા કક્ષાની ટીમ દ્વારા તાત્કાલીક સારવાર આપવામાં આવી છે. તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજદિન સુધી ૪૦ પશુઓના લમ્પી વાયરસથી મૃત્યુ થયેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા આ રોગના ફેલાવાને અટકાવવા તથા તાત્કાલીક સઘન સારવાર આપવા તથા પશુપાલકો અને સ્થાનિક પશુ ચિકિત્સકોને માર્ગદર્શન પૂરું પાડવા સિનિયર સાયન્ટિસ્ટ સાથેની ટીમને જામનગર મોકલવામાં આવેલ. આ વિશેષજ્ઞોની ટીમે જિલ્લાના અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોની રૂબરૂ મુલાકાત કરી પશુઓમાંથી ઇતરડી, લોહી, સીરમ, સ્કિન સ્ક્રેપિંગ સહિતના નમૂનાઓ લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ. તેમજ સારવાર માટેની ગાડલાઇન, વેકસીનેશન,આઇસોલેશન તથા રીહેબીલેશન વોર્ડમાં કયા પ્રકારની કાળજી રાખવી વગેરે બાબતે અસરગ્રસ્ત પશુઓના માલિકો તથા સ્થાનિક ચિકિત્સકો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગાય વર્ગના પશુધનના રસીકરણની કામગીરી ૧૦૦% પૂર્ણ કરવાના ઉદેશ્ય સાથે આગામી ૩ દિવસ ખાસ રસીકરણ ઝુંબેશનું આયોજન સમગ્ર જિલ્લામાં કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પુરા પાડવામાં આવતા રસીના જથ્થા ઉપરાંત સઘન રસીકરણ પ્રક્રિયાને વધારે વેગવંતી બનાવવા માટે જિલ્લા પંચાયત જામનગરના સ્વભંડોળમાંથી ૫૦,૦૦૦ નવા રસીના ડોઝ ખરીદવામાં આવ્યા છે. તથા રાજ્ય સરકાર દ્વારા પણ પશુઓની વિશેષ કાળજી તેમજ સુરક્ષાને પ્રાધાન્ય આપી કામધેનુ યુનિવર્સિટીમાંથી ૪ મદદનીશ પ્રાધ્યાપકશ્રીઓ, ૫ અનુસ્નાતક ડોકટરો અને ૩૨ સ્નાતક ડોકટરોની ટીમને જામનગર જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. જિલ્લાના પશુધનને વહેલામાં વહેલી તકે આ રોગથી મુક્ત કરવા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ માઇક્રો પ્લાનીંગ મુજબ યુધ્ધના ધોરણે સમગ્ર જિલ્લામાં કામગીરી હાથ ધરવા આ ટીમને રવાના કરવામાં આવેલ છે.
આવતીકાલ તા.૩૧ જુલાઇના રોજ જામનગર જિલ્લાના ખોજા બેરાજા, તમાંચણ, ધુતારપર, સુમરી, મસીતીયા, ગાડુકા, ચન્દ્રગઢ, દોઢિયા, વેરર્તિયા, નંદપુર, ભરતપુર, ધુતારપર, બજરંગપુર, ખારાવેઢા, કનસુમરા, મજોઠ, સોયલ, કૃષ્ણપુર, લાલપુર, નાગપુર, ગોકુલપુર, મેઘપર, પીઠડ, ખીરી, સરાપાદર, બાંગા, ભાવભી ખીજડીયા, લાબુકીયા ભાડુંકીયા, ઉમરાળા, નાની ભગેડી, મોટી ભગેડી, ગોવાણા, બબરજર, ભણગોર, ટેભડા, ખીરસરા, વડ પાચસરા, પીપરટોડા, ગઢકડા, બમથીયા, જશાપર, નંદાણા, માલાવડા, ગીંગણી, સીદસર, માંડાસણ ગામે, તા.૧ ઓગસ્ટના રોજ નાઘેડી, ખંભાલીડા નાનોવાસ- મોટોવાસ, રવાણી ખીજડીયા, રણજીતપર, ખીલોસ, કરણા, મોટી લાખાણી, નાની લાખાણી, ચાવડા, રામપર, સચાણા, ગંગાજળા, નેવી મોડા, હમાપર,અરલા, બોડી, રીનારી, જામવાડી, મણવર ખીજડીયા, બામણગામ, આરબલુસ, સેતાલુસ, પીપળી, નાનાલખિયા, મેઘપુર, કરાણા, પીપરટોડા, પાટણ, નાળીયેરો નેસ, અંધારિયો નેસ, બોચવડી નેસ, ભડા નેસ, ધોરિયો નેસ, ઉદેપુર, સખપુર જામ તેમજ ૨ ઓગસ્ટના રોજ સુર્યપરા, પસાયા, બેરાજા, નાના થાવરિયા, મિયાત્રા, ધ્રોલ, દુધઈ, જીરાગઢ, મોરાણા, કેસિયા, લખતર, સાવલી, દાવલી, ગળપાદર, પીઠડીયા-૩, પાતામેઘપાર, હરીપર (મેવાસા), ગોરખડી, સખપુર ધ્રાફા, વલાસણ, ગપતીયો નેસ, લાલવાડા નેસ અને બાલવા ગામે પશુઓનું રસીકરણ કરવામાં આવશે. જેથી જિલ્લાના તમામ પશુપાલકોને આ અંગે જાગૃત રહેવા તેમજ સારવાર અને રસીકરણની કામગીરીમાં સહયોગ આપવા માટે નોંધ લેવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહિર પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.
