નડિયાદ
પ્રજાસત્તાક પર્વની ઉજવણી રઢુ ગામે અનોખી રીતે કરવામાં આવી છે. આ દિવસે ધ્વજવંદનની સાથે સાથે યુવાનો માનવીય અભિગમ અપનાવી જરૂરિયાતમંદોના વહારે આવ્યા છે. સમર્પણ સેવા ટ્રસ્ટના યુવાનોએ કડકડતી ઠંડીમાં ગામના જરૂરિયાતમંદોના બાળકો અને ગ્રામજનોને સ્વેટર તથા ગરમ ધાબળાનું વિતરણ કર્યું હતું. સમર્પણ સેવા ટ્રસ્ટ, રઢુ દ્વારા ગરીબ પરિવારના બાળકોને સ્વેટર તેમજ વડીલો અને વિધવા બહેનોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેના દાતા વિનોદભાઈ પટેલ તેમજ તેમના પત્ની રેખાબેન ખાસ હાજર રહ્યા હતા. સાથે સાથે દેશની રક્ષા કરવામાં હરહંમેશ તત્પર એવાં આર્મીના વીર જવાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિનોદભાઈ પટેલ, રેખાબેન પટેલ યુએસએ, સમર્પણ સેવા ટ્રસ્ટના પ્રમુખ શાસ્ત્રી ચિરાગ પુરોહિત, ગામના સરપંચ અજીતસિંહ વાઘેલા, નૂતન વિદ્યાલયના પ્રમુખ નરેન્દ્રસિંહ વાઘેલા, આર્મીમેન તોગાભાઈ, આર્મીમેન મેહુલભાઈ, ટ્રસ્ટના ઉપપ્રમુખ વિશ્વજીતસિંહ રાવલ, મહામંત્રી તેમજ માજી સૈનિક સંગઠનના ઉપપ્રમુખ રમસિંહજી મહીડા, ખજાનચી વખતસિંહ ઝાલા તથા ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.પૂ. રવિશંકર મહારાજની જન્મ ભૂમી એવા રઢુ ખાતે યુવાનોએ ગણતંત્ર પર્વની અનોખી ઉજવણી કરી છે. જેમાં રાષ્ટ્ર ભાવનાને કેન્દ્રમાં રાખી સમર્પણ સેવા ટ્રસ્ટની શ્રી રવિશંકર મહારાજ સેવા સમિતિના યુવાનો માનવતાભરી કામગીરી કરી જરૂરિયાતમંદોના વહારે આવ્યા છે. ગામમાં ગરીબી રેખા નીચે જીવન નિર્વાહ લોકોને ઠંડી સામે રક્ષણ મળે તે હેતુસર ગરમ ધાબળા અને સ્વેટરનું વિનામૂલ્યે વિતરણ આ દિવસે ખાસ કરવામાં આવ્યું છે.


