જામનગર
જામનગરના સમર્પણ સર્કલ પાસેથી શરૂ થતા બેડી બંદર તરફના રીંગ રોડના કામ નબળુ હોવાની ફરિયાદ સાથે રસ્તાના કામનું ઇજનેરોની હાજરીમાં રોજકામ કરાવી જવાબદારો સામે પગલાં લેવાની માંગણી વિપક્ષના કોર્પોરેટરે કરીને મ્યુ.કમિશ્નરને ફોટા સાથે રજૂઆત કરી છે. વિપક્ષી કોર્પોરેટર નુરમામદ પાલેજાએ મ્યુ.કમિશ્નરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે,શહેરના રીંગ રોડની પહોળાઇ વધારવાના કામમાં કંપનીના શાળા પાસેથી બેડી બંદર તરફ જતા માર્ગ પર જરૂરીયાત મુજબનું કોઇ ખોદકામ થયું નથી. આ કામમાં હાર્ડ મોરમ સહિતની મેટલ નાખીને પાણી છાંટીને રોલર ફેરવીને ટેન્ડર મુજબ કામ કરવાનું થતું હોવા છતાં આ કામમાં આવી કોઇ કાર્યવાહી કરવાની જગ્યાએ ફકત અને ફકત થોડું ખોદકામ કરી અને તેના ઉપર થોડી કાંકરી નાંખીને વિસ્તારના ખારાશ વાળા ખરાબાની માટી નાંખીને ઉપર ડામરનું કામ કરવામાં આવી રહ્યું છે. બેડી બંદરના રોડ પર વે-બ્રીજ પાસે ૫૦૦ મીટરના રસ્તામાં વરસાદી પાણીનો નિકાલ રાખવામાં આવ્યો નથી તેથી જાેડિયા ભુંગા, માધાપર ભુંગાના રહેણાંકોમાં પાણી ભરાશે એક જ વરસાદમાં રસ્તો તુટશે અને પસાર થતા ભારે વાહનોના અકસ્માત સર્જાઇ શકે છે તેવી શકયતા વ્યકત કરીને વિપક્ષી કોર્પોરેટરે મ્યુ.કોર્પો. અને પી.ડબલ્યુ.ડી.ના ઇજનેરોની હાજરીમાં પંચનામું કરાવી જવાબદારો સામે તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માંગણી અંતે કરી છે.


