ભરૂચ
ભરૂચમાં કોરોનાની ત્રીજી લહેરમાં રસી નહિ મુકાવનાર ૪૫ વર્ષીય મહિલાનું મોત થયું છે. સ્મશાનમાં અંકલેશ્વરના વૃદ્ધનો પણ મૃતદેહ અંતિમવિધિ માટે આવ્યો હતો. બંન્નેએ વેક્સિનના ડોઝ લીધા નહોતા. કોરોના વેક્સિન નહિ લેવી એ જીવ માટે કેટલી જાેખમી છે તે ભરૂચમાંથી સામે આવ્યું છે. જિલ્લામાં ત્રીજી લહેરમાં ૨૭ લોકોના મોત થયા છે, જે તમામ વૃદ્ધ હતા. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર રામાણીવાસ ચાલીમાં રહેતા ૪૫ વર્ષીય કાશ્મીરાબેન પટેલનું સિવિલ હોસ્પિટલમાં ૧૦ દિવસની સારવાર બાદ મૃત્યુ થયું છે. અંકલેશ્વરની રામવાટિકામાં રહેતા ૮૧ વર્ષીય ચંપકલાલ મોદીનું પણ સંક્રમિત થયા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બંન્ને મૃતકોએ રસીનો એક પણ ડોઝ લીધો ન હતો. કોવિડ સ્મશાનમાં બંન્ને મૃતદેહોના ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરાયા હતા.ભરૂચ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં મહિલા સહિત બે લોકોનાં મોત નીપજતાં તેમના કોવિડ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બંને મૃતકોએ વેક્સિનનો એકપણ ડોઝ નહોતો લીધો.


