વડોદરા
આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન દેશભરમાં હર ઘર તિરંગા યોજના ચાલી રહી છે ત્યારે ઠેર-ઠેર તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે વડોદરામાં યોજાયેલી તિરંગા યાત્રામાં રાજ્યના ગૃહમંત્રી મેયર પર ગુસ્સે થયા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના મેયર કેયુર રોકડિયાને કહ્યું હતું કે, દૂર ઊભા રહો ભાઈ. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો પર લોકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી હતી. વડોદરા શહેરમાં તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ભીડમાં ટોળાના કારણે મેયરનો ધક્કો ગૃહમંત્રીને અને તેમનો ધક્કો મુખ્યમંત્રીને વાગ્યો હતો. જેથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મેયર કેયુર રોકડિયા પર ગુસ્સે ભરાઈ કહ્યું કે, દૂર ઊભા રો ભાઈ. આ સાંભળી મેયર કેયુર રોકડિયા સહિતના હોદ્દેદારો સ્તબ્ધ થયા હતા. જાેકે, મેયરે તાત્કાલિક બધાને દૂર ખસી જવા જણાવ્યું હતું. જેનો વીડિયો વાઇરલ થતાં લોકોએ કોમેન્ટનો મારો ચલાવી મિમ્સ પણ બનાવ્યા હતા. વડોદરાના મેયર કેયુર રોકડિયા સતત વિવાદોમાં રહ્યા છે. અગાઉ ૧૦ મહિના પહેલા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૨ના પ્રમોશનલ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડોદરાના મેયર કેયુર રોકડિયાને રખડતા ઢોરોના મુદ્દે રોકડુ પરખાવી દીધુ હતું. સી.આર પાટીલે જણાવ્યું હતું કે, કેયુર હવે તમે મિટીંગો બંધ કરો. મને તો તમને જ્યારે મેયર બનાવ્યા ત્યારે લાગતું હતું કે, કેયુર યુવાન છે અને ઝડપથી કામ કરશે. પરંતુ, આટલું ધીમું તો નહીં ચાલે. બીજી વાર વડોદરાથી કોઈનો ફોન આવે કે ગાયો દેખાતા નથી અને ભિક્ષુક દેખાતા નથી તેવું વાતાવરણ બનાવજાે,પરિણામ બતાવજાે. આ ઉપરાંત મેયર કેયુર રોકડિયાએ ૧૫ દિવસમાં રખડતા ઢોર મુક્ત કરવાની જાહેરાત કરી હતી. જાેકે, તેમની જાહેરાત માત્ર પોકળ સાબિત થઈ હતી. હજી પણ વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે અને છાસવારે લોકો રખડતા ઢોરોના હુમલાનો ભોગ બને છે.


