જૂનાગઢ જિલ્લામાં વરસાદની હેલી જામી છે પરંતુ સાથે સાથે વંદે ગુજરાત વિકાસ યાત્રાને આવકારવાનો લોકોમાં ઉત્સાહછે.
આજે જુનાગઢ તાલુકાના વિજાપુર ગામે વરસતા વરસાદ વચ્ચે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે વિજાપુર પ્રાથમિક શાળામાં પેવર બ્લોકના કામનું લોકાર્પણની સાથે સોડવદર ગામની આંગણવાડીનું પણ અહીંથી જ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સગર્ભા-ધાત્રીમાતાઓને પોષણક્ષમ આહારની કીટનું વિતરણ કરવાની સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાઓના લાભાર્થીઓને પ્રતિકાત્મક રીતે આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કોરોના મહામારી સામે લડવા માટે વેક્સિનેશનનું પૂરજોશમાં ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગીરના નેસોમાં પણ રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારતે દુનિયાના અન્ય દેશોને પણ રસી પૂરી પાડી વિશ્વ કલ્યાણ ની ભાવનાને સુદ્રઢ કરી છે. આ સાથે તેમણે આરોગ્ય કર્મીઓની સેવા ભાવનાઓને પણ બિરદાવી હતી.
શ્રી પટેલે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાના માધ્યમથી બહેનોને ગેસના ચૂલા અને બોટલ ઉપલબ્ધ કરાવી બહેનોના આરોગ્યના રક્ષણની સાથે તેમની ઘણી મુશ્કેલીઓ દૂર કરી છે અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ ગુજરાત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે વિજાપુર ગામના સરપંચ શ્રી પરેશભાઈ મોરવાડિયાએ ગામને મળેલ માતબર અનુદાનથી વિકાસ કાર્યો થયા હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે નિરામય ગુજરાત હેઠળ આરોગ્ય કેમ્પ, પોષણક્ષમ વાનગીઓનું પ્રદર્શન અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિનામૂલ્ય રોપાવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરિભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી દિનેશભાઈ મૈતર, પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિ કેશવાલા, મામલતદાર સુશ્રી તન્વી ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી શ્રી જયદીપ પટેલ, અગ્રણી શ્રી ગોવિંદ પટેલ, તલાટી કમ મંત્રી ખુશ્બુબેન પરમાર સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
