Gujarat

સીંગતેલમાં ૭૦ અને કપાસિયા તેલમાં ૧૧૦ રૂપિયાનો વધારો

અમદાવાદ
મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો થતો જઇ રહ્યો છે. કોરોનાની મહામારીમાં પડેલા આર્થિક સંકટના મારમાંથી હજુ તો જનતા માંડ બહાર આવી રહી હતી. ત્યાં હવે મધ્યવર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સીંગતેલના ભાવમાં એક જ દિવસમાં ૭૦ રૂપિયાનો વધારો થયો છે. જેને લઇ સીંગતેલનો ડબ્બો ૨૫૨૦ રૂપિયા પર પહોંચ્યો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ એક જ દિવસમાં ૧૧૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેને લઇ કપાસિયા તેલના ડબ્બાના ભાવ ૨૫૫૦ રૂપિયાને પાર પહોંચ્યાં છે. કોરોનાકાળમાં થયેલા લોકડાઉનમાં આર્થિક માર સહન કર્યા પછી હવે જનતાએ મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. હવે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. બીજી બાજુ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે. મહત્વનું છે કે સીંગતેલના ભાવ વધતા મોટાભાગના લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ હવે કપાસિયા તેલના ભાવ પણ ભડકે બળવા લાગ્યાં છે..જેને લઇ લોકોને કયુ તેલ વાપરવું તે એક સવાલ છે. સતત વધતા ભાવને કારણે લોકોનું બજેટ ખોરવાઇ રહ્યું છે. એટલું જ નહીં આગામી સમયમાં હજી પણ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે.ખાદ્યતેલના સતત વધી રહેલા ભાવ લોકોનું તેલ કાઢી રહ્યાં છે. ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ભાવ વધારાની સાથે જ સીંગતેલ અને કપાસિયા તેલ ૨૫૦૦ રૂપિયાને પાર પહોંચ્યું છે. જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે.

Food-Oil.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *