Gujarat

સુરતમાં અપહરણનું નાટક કરનાર સહિત બે મિત્રોની ધરપકડ કરાઈ

સુરત
સુરતના ઉન પાટિયા સ્થિત રહેતા અરશદ અસફાક બેગના ભાઈ રાશીદનું મહાવીર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસેથી બે અજાણ્યા ઈસમો અપહરણ કરી લઇ ગયા હતા. આ મામલે અરશદ અસફાક બેગે તાત્કાલીક પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતા જાેઈ પાંડેસરા પોલીસ દોડતી થઇ હતી અને અપહરણનો ભોગ બનેલા રાશીદને રેલ્વે સ્ટેશન પાસેથી શોધી કાઢ્યો હતો. પૂછપરછમાં અપહરણ નાટક કર્યું હોવાની જાણ થતા નાટક કરનાર અને તેના બે મિત્રોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેક માસ પહેલા તે પોતાના વતનથી સુરત આવ્યો હતો અને તેના પિતાએ પોતાની ફેક્ટરી પર કામ કરવા રાખ્યો હતો. તેના મિત્રો વંશ રાજપૂત અને છોટુ ઉર્ફે સની રાશીદને મળવા અવાર નવાર તેના ઘરે અને ફેક્ટરીએ આવતા હતા જેથી રાશીદના પિતાએ આ બાબતે ઠપકો આપી તેના મિત્રોને ઘરેથી કાઢી મુક્યા હતા જે વાતનું રાશીદને ખોટું લાગ્યું હતું અને તેણે પોતાના પિતા સાથે ઝઘડો કર્યો હતો. અને તે પરત પોતાના ગામ જવા માંગતો હતો. પરંતુ તેના પિતા અને તેનો ભાઈ તેને વતન જવા દેવા માંગતા ના હતા. જેથી ગત ૩૦-૩-૨૦૨૨ના રોજ તેણે બંને મિત્રોને ફોન કરી પાંડેસરા મહાવીર ઇન્ડસ્ટ્રીયલએસ્ટેટ પાસે બોલાવ્યા હતા અને તેઓની બાઈક પર ચાલ્યો હતો અને બાદમાં તેના ભાઈને ફોન કરી પોતાનું અપહરણ થયું હોવાની જાણ કરી હતી. રાશીદ સુરત ખાતે રહેવા માંગતો ના હોય તેણે વરાછા ખાતે રહેતા તેના મિત્ર વંશ સર્વેશભાઈ રાજપૂત અને છોટુ ઉર્ફે સની મુન્નાલાલ સકવારસાથે મળી અપહરણ થયું હોવાનું સ્ટંટ કર્યો હતો અને પોલીને ગેરમાર્ગે દોરી હતી. રાશીદને જે બાઈક પર બેસાડીને તેઓ લઇ ગયા હતા તે બાઈક પણ તેઓએ વરાછા સ્થિત ભગીરથ સોસાયટી પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ ઘટનામાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Pretended-kidnapping-arrest-of-young-man-and-two-of-his-friends.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *