મહેસાણા
બહુચર માતાજીને તેમના પ્રાગટ્ય દિવસ ચૈત્રી પૂનમે બહુચરાજી તાલુકાના શંખલપુર સ્થિત આધ્યસ્થાનકે ઘૂંટુ-મોરબીના માઈભક્ત નરભેરામભાઈ માવજીભાઈ સોરિયા પરિવાર દ્વારા રૂપિયા ૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલ સોના-ચાંદી અને અમેરિકન ડાયમંડ જડિત નયનરમ્ય આંગી અર્પણ કરવામાં આવી હતી માતાજીને ઇતિહાસમાં પ્રથમવાર આવી આંગી કરવામાં આવી છે. આ પાવનકારી દર્શનનો પ્રથમ લાહવો લેવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ પહેલા ટોડા બહુચરાજી માતાજી ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલના નિવાસ સ્થાનેથી બગીરથમાં આંગીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો અને નગર પરિભ્રમણ કરી નિજ મંદિરે પહોંચ્યો હતો, જ્યાં બોલ મારી બહુચર જય જય બહુચર ના જયઘોષ વચ્ચે માતાજીને આંગી અર્પણ કરાઇ હતી. ચૈત્રી પૂનમ નિમિત્તે અનેક પગપાળા સંઘોએ માતાજીના મંદિરે ધજા અર્પણ કરી હતી તેમજ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ ભોજન પ્રસાદનો લાભ લઇ ધન્યતાની લાગણી અનુભવી હતી.
