મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં સાંગલીના મ્હૈસલમાં એક જ પરિવારના ૯ લોકોની કથિત સામૂહિક આત્મહત્યામાં મોટો વળાંક આવ્યો છે. આ પહેલા પોલીસે પરિવારને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ૧૯ જેટલા લોકોની ધરપકડ કરી હતી. પરંતુ આ કેસમાં નવો વળાંક એક તાંત્રિક અને અન્ય શખ્સની ધરપકડ બાદ આવ્યો છે. હવે આ મામલો સામૂહિક આપઘાત નહીં પણ સામૂહિક હત્યાકાંડનો બની ગયો છે. સાંગલીના એસપી દીક્ષિત ગેદામે જણાવ્યું હતું કે, ઘરના ૯ લોકોને ભોજનમાં કોઈ ખૂબ જ ઝેરી પદાર્થ આપીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે સોલાપુરથી બે શખ્સો ધીરજ ચંદ્રકાંત સુર્વેસે અને અબ્બાસ મોહમ્મદ અલી બગવાનની ધરપકડ કરવામાં આવી છે. આ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એસપી ગોડમે વધુમાં જણાવ્યું હતું કે મૃતક ડો. માનિક વાનમોરે અને પોપટ વાનમોરે ગુપ્ત ધન બાબતે અમુક લોકોના સંપર્કમાં હતા. તેઓ આ બાબતે મોડી રાત સુધી તેમની સાથે વાત કરતા હતા. પોલીસે આ કેસમાં તેમની કોલ ડિટેઈલ્સ કાઢી હતી. જેમાં આ બંને નામ સામે આવ્યા હતા. બંને આરોપીઓની સોમવારે સોલાપુરથી ધરપકડ કરીને સાંગલી લાવવામાં આવ્યા હતા. કોર્ટમાં હાજર કર્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તાંત્રિક અબ્બાસ મોહમ્મદ અલી અને ધીરજ ચંદ્રકાંત સુર્વેસેની ધરપકડ બાદ આ કેસમાં નવા તથ્યો સામે આવ્યા છે. આને કારણે તપાસની દિશા બદલાઈ ગઈ છે અને સામૂહિક આત્મહત્યા સાથે હવે સામૂહિક હત્યાકાંડનો કેસ બની ગયો છે. ગત સપ્તાહે સોમવારે એનિમલ ડોક્ટર માનિક વાનમોરે, તેના ભાઈ પોપટ વાનમોર, ૭૨ વર્ષીય માતા, પત્ની અને સંતાનોના મૃતદેહો તેમના અલગ અલગ બે ઘરમાંથી મળ્યા હતા. પોલીસે કથિત સ્યુસાઇડ નોટના આધારે અમુક આરોપીઓની ધરપકડ કરી હતી. પરિવારે કેટલાક લોકો પાસેથી લોન લીધી હતી અને તે ચૂકવી શક્યા ન હતા તેથી આ પગલું ભર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વાનમોરના પાડોશીઓએ કહ્યું હતું કે, આ પરિવાર આત્મહત્યા કરી શકે તેવું લાગતું નથી. એક પાડોશીએ એમ પણ કહ્યું હતું કે, સાંજે જ તેઓએ પાણીપુરીની પાર્ટી આપી હતી. બેંકમાં કામ કરતી તેમની એક પુત્રી પણ ઘરે આવી હતી. આવી સ્થિતિમાં પોલીસને પહેલેથી જ શંકા હતી કે આ કેસ આત્મહત્યાનો નહીં પણ બીજું કંઈક હોઈ શકે છે.


