કેનેડા
કેનેડાના ટોરોન્ટોમાં એક માર્ગ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. હાલમાં ઈજાગ્રસ્ત થયેલા બે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ છે.તેમજ ટોરોન્ટોમાં ભારતીય દૂતવાસની ટીમ મૃતકોના મિત્રો સાથે સંપર્કમાં છે. આ માહિતી કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાએ આપી છે. તમને જણાવી દઈએ કે,મૃતકની ઉંમર ૨૧ થી ૨૪ વર્ષની વચ્ચે હતી.ગમખ્વાર અકસ્માતને પગલે પાંચેય ભારતીય વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ટ્રેક્ટર-ટ્રેલર વાન સાથે અથડાયા બાદ આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.કેનેડાના ભારતીય હાઈ કમિશનરે જણાવ્યુ કે,આ દુર્ઘટનામાં બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે જેમને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર,૨૪ વર્ષીય હરપ્રીત સિંહ, ૨૧ વર્ષીય જસપ્રીત સિંહ, ૨૨ વર્ષીય કરણપાલ સિંહ, ૨૩ વર્ષીય મોહિત ચૌહાણ અને ૨૩ વર્ષીય પવન કુમારનુ આ અકસ્માતમાં મોત થયુ છે. અહેવાલો અનુસાર તેઓ બધા મોન્ટ્રીયલ અને ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં અભ્યાસ કરતા હતા. ભારતીય રાજદૂત અજય બિસારિયાએ ટિ્વટ કર્યું કે,’કેનેડામાં હૃદયદ્રાવક ઘટના બની છે. શનિવારે ટોરોન્ટો પાસે એક ઓટો અકસ્માતમાં ૫ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે.અન્ય બે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ છે. પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. ભારતની ટોરોન્ટોની ટીમ તેના મિત્રો સાથે સંપર્કમાં છે. તમામ વિદ્યાર્થીઓ શનિવારે સવારે પેસેન્જર વાનમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની વાન ટ્રેક્ટર-ટ્રેલર સાથે જાેરદાર ટકરાઈ હતી. પોલીસે જણાવ્યું કે અકસ્માતની હાલ તપાસ ચાલી રહી છે.આ મામલે હજુ સુધી કોઈ બેદરકારી સામે આવી નથી. તેમજ એ પણ જણાવવામાં આવ્યું નથી કે મૃતક વિદ્યાર્થીઓ ભારતના કયા રાજ્યના વતની છે.


