કીવ
રશિયાનુ યુક્રેન પર ચાર મહિના કરતા વધારે સમયથી આક્રમણ ચાલુ છે. ૨૭ જૂને રશિયન મિસાઈલોએ યુક્રેનના ક્રેમેનચુક શહેરમાં એક શોપિંગ સેન્ટરને તે સમયે બરબાદ કરી દીધુ જ્યારે તે મોલમાં સેંકડો લોકો હતા. આ હુમલામાં ૧૮ લોકોના મોત નીપજ્યા છે અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આ રશિયન હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કીએ કહ્યુ કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આતંકવાદી બની ચૂક્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને એક વીડિયો મેસેજમાં જેલેંસ્કીએ કહ્યુ કે રશિયા પર કાયદેસર કાર્યવાહી કરવી જાેઈએ જેથી આને આતંકવાદી કાર્યવાહી કરવાથી રોકી શકાય. તેમણે આગળ કહ્યુ કે આપણે રશિયન હત્યાઓને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે. રશિયા અને યુક્રેનની વચ્ચે જારી યુદ્ધના કારણે અત્યાર સુધી લાખો લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે અથવા દેશ છોડવા મજબૂર થયા છે. યુદ્ધના કારણે અત્યાર સુધી હજારો લોકોના મોત નીપજ્યા છે.
રશિયાની સેના દ્વારા મોલને નિશાન બનાવવાનો ઈનકાર કર્યા બાદ જેલેંસ્કીએ કહ્યુ કે યુનાઈટેડ નેશન્સને યુક્રેનમાં એક પ્રતિનિધિ મોકલવો જાેઈએ જેથી અધિકારી સ્વતંત્ર રીતે આ વાતની પુષ્ટિ કરી શકે કે ક્રેમેનચુકમાં મિસાઈલ હુમલો હકીકતમાં એક રશિયન મિસાઈલ હુમલો હતો. પુતિનને આતંકવાદી ગણાવતા તેમણે કહ્યુ કે આતંકી દરરોજ, સપ્તાહના સાતેય દિવસ હુમલો કરે છે. તેઓ દરરોજ આતંકવાદી તરીકે કામ કરે છે.
જેલેંસ્કીએ યુનાઈટેડ નેશન્સ ચાર્ટરના આર્ટિકલ ૬ નો હવાલો આપતા કહ્યુ કે વર્તમાન ચાર્ટરમાં ગર્ભિત સિદ્ધાંતોનુ સતત ઉલ્લંઘન કરનારા સદસ્યને સુરક્ષા પરિષદની ભલામણ પર મહાસભા દ્વારા સંગઠનમાંથી હાંકી કાઢી શકાય છે. એક્સપર્ટસનુ કહેવુ છે કે રશિયાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદથી હટાવી શકાય નહીં કેમકે તેઓ પરિષદના સ્થાયી સદસ્ય છે અને તેમની પાસે વીટો પાવર છે.
