ઇસ્લામાબાદ
પાકિસ્તાને કર્ણાટક હાઈકોર્ટના શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતા ર્નિણય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી અને દાવો કર્યો કે આ ચુકાદો ધાર્મિક વિધિઓની સ્વતંત્રતાના સિદ્ધાંતને જાળવી રાખવામાં નિષ્ફળ ગયો છે અને માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે.ઉલ્લેખનીય છે કે, કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે ઉડુપીની ‘ગવર્નમેન્ટ પ્રી-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજ’ની મુસ્લિમ વિદ્યાર્થીનીઓની અરજીને ફગાવી દીધી હતી, જેમાં વર્ગમાં હિજાબ પહેરવાની પરવાનગી માગવામાં આવી હતી. અરજીની સુનાવણી કરતા કોર્ટ કહ્યુ કે, હિજાબ પહેરવું એ ઇસ્લામમાં આવશ્યક ધાર્મિક પ્રથાનો ભાગ નથી. ત્રણ ન્યાયાધીશોની ફુલ બેન્ચે અવલોકન કર્યું હતું કે સ્કૂલ યુનિફોર્મ સાથે હિજાબ વાજબી પ્રતિબંધ છે અને બંધારણીય રીતે માન્ય છે, જેના પર વિદ્યાર્થીનીઓ કોઈ વાંધો ઉઠાવી શકે નહીં. અરજદાર વિદ્યાર્થીઓએ કર્ણાટક હાઈકોર્ટના આદેશને ‘ગેરબંધારણીય’ ગણાવ્યો અને કહ્યું કે તેમની કાનૂની લડાઈ ચાલુ રહેશે. ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું,”આ ર્નિણય સ્પષ્ટપણે ધાર્મિક વિધિઓની સ્વતંત્રતાના સિદ્ધાંતને જાળવી રાખવામાં નિષ્ફળ જાય છે અને માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે.” સાથે જ તેણે કહ્યુ કે, ચુકાદો મુસ્લિમ વિરોધી સતત ઝુંબેશમાં વધુ એક ઘટાડો દર્શાવે છે, કારણ કે આ ઝુંબેશ હેઠળ મુસ્લિમોને નિશાન બનાવવા માટે બિનસાંપ્રદાયિકતાના પોશાકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે,” તેણે દાવો કર્યો કે ભારત તેની બિનસાંપ્રદાયિક ઓળખ ગુમાવી રહ્યું છે. જે તેના લઘુમતીઓ માટે ઘાતક છે. પાકિસ્તાને ભારત સરકારને લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમોની સુરક્ષા અને તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. વર્ગખંડની અંદર હિજાબ પહેરવાની પરવાનગી માટેની અરજીને ફગાવી દેતા કર્ણાટક હાઈકોર્ટના ર્નિણયને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટના ર્નિણય સામે એક મુસ્લિમ વિદ્યાર્થીએ સુપ્રીમ કોર્ટમાં આ અંગે અરજી કરી છે.
