Gujarat

આજે રવિવારે વેકેશનનો અંતિમ દિવસ.. આવતીકાલથી સાવરકુંડલા શહેરની શાળાઓ વિદ્યાર્થીઓની કિલકારીઓથી ગુંજી ઉઠશે. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
મામા મહિનો પૂર્ણ થતાં હવે આવતીકાલથી શહેરની શાળાઓમાં શિક્ષણનો પ્રારંભ થશે. લાંબા સમય બાદ શિક્ષણ સંસ્થાઓના દરવાજા ખુલશે. નવા વિદ્યાર્થીઓને મંગલ પ્રવેશ અને જૂના વિદ્યાર્થીઓને વર્ગ બઢતી દ્વારા નવા ધોરણમાં પ્રવેશ કરી આવતીકાલથી ફરી પાછા વિદ્યાર્થીઓ શિક્ષણના શ્રી ગણેશ કરશે.. ફરી પાછા શાળાના વર્ગો વિદ્યાર્થીઓની કિલકારીઓથી ગુંજી ઉઠશે. ધોરણ એકમાં પ્રવેશ મેળવતાં નવા વિદ્યાર્થીઓને વાલી શાળાએ મૂકવા જશે. થોડા વર્ષો પહેલાં તો નાના ભૂલકાઓને ધોરણ એકમાં પ્રવેશ  સમયે વાલી વર્ગ પોતાના સંતાનોના  ભાલમાં કંકુ ચોખાનું તિલક કરીને એક હાથમાં સાકરનો પડો, શ્રીફળ સાથે શાળામાં પ્રવેશ કરતાં જોવા મળતાં હતાં.. અને શાળામાં જ આ મંગલ પ્રવેશોત્સવ સમયે શ્રીફળ વધેરી ઉપસ્થિત વિદ્યાર્થીઓ ગુરુજનોને ટોપરાની શેષ અને સાકરના કટકા સાથે મોં મીઠાં કરાવવામાં આવતાં. જો કે હાલ આવા દ્રશ્યો પણ  જવલ્લે જ જોવા મળતાં હોય છે.  જો કે હાલ પરિસ્થિતિ એવી છે કે પોતાના સંતાનોને ઈચ્છિત શાળામાં પ્રવેશ મેળવવા પણ વાલીએ ખાસ્સી જહેમત કરવી પડતી હોય છે અને પોતાના સંતાનને ઈચ્છિત શાળામાં પ્રવેશ મળતાં જાણે ઇડરિયો ગઢ જીત્યો હોય એવી અનુભૂતિ અનુભવતાં જોવા મળે છે. આજના ચડસાચડસી અને દેખાદેખીના યુગમાં પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં પોતાના પાલ્યને પ્રવેશ મળે એ જાણે (સ્ટેટ્સ) મોભાનું પ્રતિક માનવામાં આવતું હોય તેવું લાગે છે. આવતીકાલથી પ્રવેશ પામતાં તમામ જ્ઞાનપિપાસુઓને અઢળક શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *