Gujarat

એનડીઆરએફ, પોલીસ અને ફાયરના દિલધડક રેસ્ક્યુથી ચાર લોકોની જિંદગી બચી

જૂનાગઢમાં ગઈકાલે સર્જાયેલ પૂરની સ્થિતિને કારણે ભારે નુકસાન થયું છે. લોકોનું કહેવું છે કે, આવી સ્થિતિને ક્યારેય જોઈ નથી. તો જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની કામગીરીને કારણે લોકોના જીવ પણ બચી ગયા છે. જેમાં ટીંબાવાડી, મંગલધામ-3 પાસે ઝૂંપડામાં અચાનક પાણી આવી જતા ચાર લોકો ફસાયા હતા. પરંતુ એનડીઆરએફ, પોલીસ અને ફાયરના દિલધડક રેસ્ક્યુ થકી તેમને સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે.

પૂરમાં ફસાયેલ અને સહી સલામત બચી ગયેલા ભુપતભાઈ રમેશભાઈ બરાસા એ જણાવ્યું હતું કે, ટીંબાવાડી, મંગલધામ-૩, રાજરાજેશ્વરી એપાર્ટમેન્ટ પાસે ચાર-પાંચ ઝુંપડા બાંધીને રહીએ છીએ, કાલે ભારે વરસાદને કારણે અમને ડર લાગતા બાળકો અને મહિલાઓને પહેલા સામેના એપાર્ટમેન્ટમાં મૂકી આવ્યા હતા. પરંતુ કૃષિ યુનિવર્સિટીની દીવાલ અચાનક ધરાશાય થઈ જતા પાણી ઝૂંપડાની માથે ફરી વળ્યું હતું. જે સમયે બે મહિલા અને અમે બે પુરુષ ફસાયા હતા. અમારી પાસે મોબાઇલ હતા તે પણ પલળી ગયા હોવાથી તે બંધ થઈ ગયા. અમે બચાવો-બચાવોની બૂમ પાડતા હોવાથી આજુબાજુની સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકો એકઠા થઈ ગયા અને તંત્ર અને પોલીસને જાણ કરી હતી. પોલીસ અને તંત્રના લોકો ક્યારે આવશે અને જીવી જશું કે બચી જશું, તેવા વિચારો આવતા હતા. પરંતુ ભગવાનને મનમાં ને મનમાં પ્રાર્થના કરતા હતા કે, હે ભગવાન અમને બચાવી લેજે, એ જ સમયે કેસરી કલરના કપડા પહેરેલા માણસો (NDRF) આવી ગયા. દોરડાની મદદથી અમને પાણીમાંથી બચાવી લીધા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો આ NDRFની ટીમ ૧૦ મિનિટ મોડા આવ્યા હોત, તો અમે પાણીમાં તણાઈ ગયા હોત અને અમે જીવતા ન રહ્યા હોત, અમને બહાર કાઢ્યા પછી બાજુના એપાર્ટમેન્ટ વાળા લોકોએ અમને રહેવાનો આશરો આપ્યો અને તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરી આપી હતી. કલેક્ટરશ્રી, પોલીસ અને NDRF નો આભાર કે આજે તેમના કારણે અમે જીવતા રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *