બિપારજોઈ વાવાઝોડું જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ટકરવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડું એટલે શું, કઈ રીતે આવે છે અને તેનું સ્ટ્રક્ચર કેવું હોય છે તે જાણવું પણ જરૂરી છે.
વાવાઝોડું એ વર્તુળાકાર ઘુમતો અને ભારે વેગથી ફૂંકાતું હોવાનું તોફાન છે. જે દરિયામાંથી પેદા થઈ જમીન પર આવે છે. વાતાવરણમાં હળવા દબાણના કારણે અરબી સમુદ્ર કે, ભંગારના અખાતમાં સર્જાતા આ વર્તુળાકાર પવનો સામાન્ય રીતે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી દરિયામાંથી જમીન ઉપર ત્રાટકે છે. વાવાઝોડાની અસર તળે ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે.
વાવાઝોડું કઈ રીતે આવે છે તે જાણીએ તો, ઉત્તર-પશ્ચિમ ભારતમાં પ્રચંડ ગરમીનું મોજુ વાવાઝોડાને પેદા કરતું પરિબળ છે. હવા ગરમ થવાથી હલકી થાય છે. ઉપર ઊઠે છે. જેથી ઓછા પ્રેસરે (હળવા દબાણ)નું ક્ષેત્ર સર્જાય છે. આ જગ્યા ભરવા બીજા પવન આ બાજુ આગળ વધે છે. આ રીતે અરબી સમુદ્રમાંથી વરાળ સાથેનું વાદળોનું પ્રચંડ સમૂહ આગળ ગતિ કરી દરિયાકાંઠા ઉપરથી દબાણ ક્ષેત્રની તરફ વધે છે.
વાવાઝોડાનું સ્ટ્રકચર જોઈએ તો, વાવાઝોડું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગોળ ફરે છે. તે દરિયાની સપાટીથી ૮ થી ૧૨ કીમી ઊંચાઈ સુધીનું પણ હોઈ શકે છે. વાવાઝોડાની પહોળાઈ ૨૦ થી ૫૦ કિમીની હોઈ શકે છે. વાવાઝોડાની વચ્ચે આવેલ શાંત કેન્દ્રોને વાવાઝોડાની ‘આંખ’ કહેવાય છે. આંખ, અંદરનું વર્તુળ અને બહારનું વર્તુળ એ વાવાઝોડાનો જ ભાગ ગણાય. પવનની ગતિ અને દિશાના આધારે વાવાઝોડું ક્યારે અને ક્યાં જમીનની સપાટી ઉપર ત્રાટકી શકે છે. તેની ગણતરી માંડી હવામાન ખાતું ચેતવણી (વાવાઝોડા બુલેટિન) આપે છે.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં બિપોરજોઈ વાવાઝોડાની અસર તળે તા.૧૪ તથા ૧૫ના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની અને ૬૦ થી ૮૦ની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
